પ્રશાંત કિશોરનો મોટો દાવો, કહ્યું-મને નીતિશ કુમાર સાથે કામ કરવાની ઓફર મળી હતી!
પ્રશાંત કિશોરે બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમારનું નામ લઈને મોટો દાવો કર્યો છે. પ્રશાંત કિશોરે કહ્યું કે, નીતીશ કુમારે હાલમાં જ તેમને સાથે કામ કરવાની ઓફર કરી હતી, જે તેમણે ઠુકરાવી દીધી છે.
નવી દિલ્હી : પ્રશાંત કિશોરે બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમારનું નામ લઈને મોટો દાવો કર્યો છે. પ્રશાંત કિશોરે કહ્યું કે, નીતીશ કુમારે હાલમાં જ તેમને સાથે કામ કરવાની ઓફર કરી હતી, જે તેમણે ઠુકરાવી દીધી છે. હાલ પ્રશાંત કિશોર પદયાત્રા કરી રહ્યા છે.

પ્રશાંત કિશોરે આગળ જણાવ્યું કે, તેમણે મુખ્યમંત્રીને એમ કહીને ના પાડી કે તેઓ 3,500 કિલોમીટરની પદયાત્રા કરી રહ્યા છે અને "જન બલ" બનાવવા માટે પ્રતિબદ્ધ છે. જેની સામે કોઈ શક્તિ ટકી ન શકે. પ્રશાંત કિશોર તેમની મુલાકાતના ત્રીજા દિવસે પશ્ચિમ ચંપારણના જામુનિયા ગામમાં બોલી રહ્યા હતા. આ દરમિયાન તેમણે પટનામાં સીએમ નીતિશ કુમાર સાથેની તેમની તાજેતરની મુલાકાતનો ઉલ્લેખ કર્યો હતો.
નીતિશ કુમાર અને પ્રશાંત કિશોર વચ્ચે પટનાના સીએમ આવાસ પર આ બેઠક થઈ હતી, જેને લઈને અનેક અટકળો લગાવવામાં આવી રહી હતી. જો કે, આ બેઠકમાં શું થયું તે બંને પક્ષોએ જાહેર કર્યું નથી. પ્રશાંત કિશોરે કહ્યું છે કે તેઓ તેમની યાત્રા પૂરી થયા બાદ એક રાજકીય પાર્ટી શરૂ કરશે.
પ્રશાંત કિશોરે દાવો કર્યો કે, 2014ની લોકસભા ચૂંટણી હાર્યા બાદ નીતિશ કુમારે મદદ માંગી હતી. મેં 2015ની વિધાનસભાની જીત માટે તેમની સાથે હાથ મિલાવ્યા હતા. દસ-પંદર દિવસ પહેલાં તેમણે મને ફરીથી કામ કરવાની ઓફર માટે બોલાવ્યો. મેં કહ્યું કે હવે તે શક્ય નથી કારણ કે હું 3,500 કિલોમીટરની પદયાત્રા કરવા માટે પ્રતિબદ્ધ છું.
પ્રશાંત કિશોર સતત નીતિશ કુમાર પર ટિપ્પણીઓ કરતા રહે છે. પદયાત્રા શરૂ કરતી વખતે તેમણે કહ્યું હતું કે, બિહાર આજે પણ એવું જ છે જેવું 1990 માં હતું. છેલ્લા 30-40 વર્ષમાં કંઈ બદલાયું નથી. આ પહેલા પ્રશાંત કિશોરે કહ્યું હતું કે નીતિશ કુમાર ઘણા વર્ષોથી સીએમની ખુરશી પર બેઠા છે. તેથી તેને ફેવિકોલનો બ્રાન્ડ એમ્બેસેડર બનાવવો જોઈએ.












Click it and Unblock the Notifications
