કાંઝાવાલા કેસમાં આરોપીઓ પર ધારા 302 લગાવવાની તૈયારી, જાણો દિલ્હી પોલીસે શું કહ્યું?
દિલ્હીના કાંઝાવાલા અકસ્માત કેસમાં પોલીસ આરોપીઓ પર હત્યાનો આરોપ એટલે કે ધારા 302 લગાવવાની તૈયારી કરી રહી છે. આ કેસમાં આરોપી આશુતોષ ભારદ્વાજની જામીન અરજી પર સૂનાવણી દરમિયાન રોહિણી કોર્ટમાં મોટો ખુલાસો કર્યો હતો.
નવી દિલ્હી : દિલ્હીના કાંઝાવાલા અકસ્માત કેસમાં પોલીસ આરોપીઓ પર હત્યાનો આરોપ એટલે કે ધારા 302 લગાવવાની તૈયારી કરી રહી છે. આ કેસમાં આરોપી આશુતોષ ભારદ્વાજની જામીન અરજી પર સૂનાવણી દરમિયાન રોહિણી કોર્ટમાં મોટો ખુલાસો કર્યો હતો. કોર્ટે આ મામલે નિર્ણય સુરક્ષિત રાખ્યો છે. આ મુદ્દે કોર્ટમાં જામીન અરજીનો વિરોધ કરતા દિલ્હી પોલીસે દલીલ આપી કે મામલો ગંભીર છે અને તે આ કેસમાં કલમ 302 લગાવવાની પ્રક્રિયામાં છે.
આ કેસમાં રોજ રોજ નવા ખુલાસા થઈ રહ્યા છે ત્યારે હાલમાં જ દિલ્હી પોલીસે ઘટના સમયે રોહિણી જિલ્લામાં પીસીઆર વાન અને પિકેટમાં ફરજ પર રહેલા 11 પોલીસ કર્મચારીઓને સસ્પેન્ડ કર્યા હતા. આ મામલે ગૃહ મંત્રાલયે ત્રણ પીસીઆર વાન અને બે પિકેટ પર તૈનાત તમામ કર્મચારીઓને સસ્પેન્ડ કરવાનો નિર્દેશ આપ્યો હતો.
આ મુદ્દે રચાયેલી સ્પેશિયલ કમિશનર શાલિની સિંહની આગેવાની હેઠળની તપાસ સમિતિએ જવાબદાર કર્મચારીઓ વિરૂદ્ધ પગલા લેવા સૂચન કર્યુ હતું. ગૃહ મંત્રાલયે રિપોર્ટ મળ્યા બાદ દિલ્હી પોલીસને આરોપીઓ વિરુદ્ધ આઈપીસીની કલમ 302 લાગુ કરવા જણાવ્યું છે.
અહીં તમને જણાવી દઈએ કે, 1 જાન્યુઆરીએ કાંઝાવાલામાં અંજલિ સિંહ નામની યુવતીની લાશ મળી આવી હતી. અંજલિ સિંહ નવા વર્ષની રાત્રે તેની સ્કૂટીમાં ફ્રેન્ડ સાથે ઘરે જઈ રહી હતી ત્યારે એક કારે તેને ટક્કર મારી હતી. કાર યુવતીને સુલતાનપુરીથી કાંઝાવાલા સુધી 12 કિલોમીટર સુધી ખેંચીને લઈ ગઈ હતી.