મારા રિપોર્ટ પર 2 વર્ષ પહેલાં કાર્યવાહી થઈ હોત તો મૂસેવાલા જીવિત હોતઃ AAP MLAનો ખુલાસો
પંજાબના ગેંગસ્ટર પર પૂર્વ આઈજી અને આપ એમએલએ કુંવર વિજય પ્રતાપ સિંહ મોટો ખુલાસો કર્યો છે. તેમણે કહ્યું કે બે વર્ષ પહેલાં પંજાબ સરકારને સોંપેલા તેમના રિપોર્ટ પર કાર્યવાહી કરાઈ હોત તો પંજાબી ગાયક સિદ્ધૂ મૂસેવાલા આજે જીવતા હ
પંજાબમાં નેતાઓ અને ગેંગસ્ટર્સની ઉચ્ચસ્તરીય તપાસ કરનાર પૂર્વ આઈજી અને તાત્કાલિન આમ આદમી પાર્ટીના ધારાસભ્ય કુંવર વિજય પ્રતાપ સિંહનું કહેવું છે કે બે વર્ષ પહેલાં તેમણે પંજાબની ત્યારની કોંગ્રેસ સરકારને એક રિપોર્ટ સોંપ્યો હતો જો આ રિપોર્ટ પર કાર્યવાહી થઈ હોત તો આજે પંજાબી ગાયક સિદ્ધૂ મૂસેવાલા જીવતો હોત. પંજાબમાં ગેંગસ્ટર્સ રાજકારણીઓના આશિર્વાદ હેઠળ જ જીવી રહ્યા છે. વિજય પ્રતાપે જણાવ્યું કે આ મામલે તેમણે 18 ફેબ્રુઆરી 2020ના રોજ પ્રદેશ સરકારને રિપોર્ટ સોંપ્યો હતો, પરંતુ તેના પર કોઈએ વાત પણ ના કરી અને જાહેર પણ ના કરાયો. રિપોર્ટમાં 2009માં સડક દુર્ઘટનામાં જીવ ગુમાવનાર તત્કાલીન નાણામંત્રી કેપ્ટન કંવલજીત સિંહનો પણ ઉલ્લેખ કરતા જણાવ્યું કે તે કોઈ અકસ્માત નહીં બલકે યોજનાબદ્ધ હત્યા હતી.
વર્ષ 2021 સુધી સંગઠિત અપરાધ નિયંત્રણ એકમના આઈજીપી રહેલા કુંવર વિજય પ્રતાપ સિંહે રિપોર્ટમાં કહ્યું કે ગેંગસ્ટર જગ્ગૂ ભગવાનપુરિયા અકાળી દળના એક મોટા નેતાનો આશ્રિત છે. તે સિદ્ધૂ મૂસેવાલાની હત્યાના ષડયંત્રકારોમાંનો એક છે. ભગવાનપુરિયાને રોપડથી અમૃતસર જેલમાં એક યોજના અંતર્ગત શિફ્ટ કરવામાં આવ્યો હતો. તેમણે સંસદીય ચૂંટણીની ઠીક પહેલાં (23 માર્ચ 2019) ભગવાનપુરિયાને અમૃતસર જેલમાં સ્થાનાંતરિત કરવાના તર્ક પર સવાલ ઉઠાવ્યા.
રિપોર્ટમાં કહેવામાં આવ્યું કે નેતાએ રાજનૈતિક લાભ માટે પોતાના બાહુબળનો ઉપયોગ કરવાના ઉદ્દેશ્યથી ગેંગસ્ટરને સ્થાનાંતરિત કરવામાં મહત્વપૂર્ણ ભૂમિકા નિભાવી હતી. એટલું જ નહીં 2014માં અકાળી દળ ભાજપની ટિકિટ પર લોકસભા ચૂંટણી લડનાર પ્રભાવશાળી નેતાની મીટિંગ પણ ગેંગસ્ટર દ્વારા રાખવામાં આવી હતી. આમ આદમી પાર્ટીના ધારાસભ્યએ કહ્યું કે જેલમાં બેઠેલા લોકો બહાર રાજનેતાઓની મીટિંગ કરાવી રહ્યા હતા. કુંવરે પંજાબ સરકારના આદેશ પર 11 નવેમ્બર 2019ના રોજ તપાસ શરૂ કરી હતી અને 18 ફેબ્રુઆરી 2020ના રોજ સરકારને રિપોર્ટ સોંપી દીધો હતો. આ રિપોર્ટને આઈજી અને કેટલાય જિલ્લાના એસએસપી પાસેથી જાણકારી લઈને તૈયાર કરવામાં આવ્યો હતો, પરંતુ તત્કાલીન કોંગ્રેસ સરકારે રિપોર્ટ દબાવી દીધો.