કોંગ્રેસે કર્યું ખંડન, પ્રિયંકા ગાંધી નહીં કરે પ્રચાર
નવી દિલ્હી, 14 ઓક્ટોબરઃ ભાજપના પીએમ પદના ઉમેદવાર નરેન્દ્ર મોદીને ગંભીર પડકાર માનતા કોંગ્રેસ પોતાના ટ્રમ્પ કાર્ડના રૂપમાં પ્રિયંકા ગાંધીને ઉતારવાની યોજના બનાવી છે. અત્યારસુધી પ્રિયંકા ગાંધી રાયબરેલી, અમેઠી અને તેની આસપાસના એકાદ બે જિલ્લામાં જ ચૂંટણી પ્રચાર કરતા રહ્યાં છે. કોંગ્રેસના રણનીતિકારોને લાગે છે કે, મોદી સામે હુકુમના એક્કાની જરૂર છે. તેથી નિર્ણય કરવામાં આવ્યો છે કે, પ્રિયંકા ગાંધી આ વખતે ત્રણ ચાર બેઠકો સુધી જ સિમિત નહીં રહે, પરંતુ આખા દેશમાં પ્રચાર કરશે. જો કે, કોંગ્રેસના સૂત્રોનું કહેવું છે કે, પ્રિયંકા ગાંધી ચૂંટણી નહીં લડે. જો કે, કોંગ્રેસના મીડિયા પ્રભારી અજય માકને પ્રિયંકા ગાંધીના ચૂંટણી પ્રચાર અંગેની વાતનું ખંડન કર્યું છે અને મીડિયા પર અફવા ફેલાવવાનો આરોપ લગાવ્યો છે.
કોંગ્રેસની આ યોજના પર શાબ્દિક પ્રહાર કરતા ભાજપે કહ્યું છે કે, આ તો ડુબતાને તણખલાના સહારા જેવી વાત છે. ભાજપના નેતા સિદ્ધાર્થનાથ સિંહે કહ્યું કે, કોંગ્રેસના આભાસ થઇ ગયો છે કે, મોદીજીનો રથ વેધક ગતિ સાથે આગળ વધી રહ્યો છે, તેથી તે નવી યોજના બનાવી રહ્યાં છે, પરંતુ તેઓ ગમે તે કરી લે, કેન્દ્રમાં આગામી સરકાર મોદીજીના નેતૃત્વવાળી જ બનશે.
રાહુલ અને સોનિયા ગાંધી પર નિશાન સાધતા તેમણે કહ્યું છે કે, આ યોજનાથી સ્પષ્ટ થઇ ગયું છે કે, માતા-પુત્રની જોડીમાં એ દમ નથી કે તેઓ મોદીને ટક્કર આપી શકે, હવે તેમને પરિવારના વધુ એક સભ્યની જરૂર પડી છે.