આજે લખીમપુર જશે પ્રિયંકા ગાંધી, હિંસામાં માર્યા ગયેલા ખેડૂતોની અંતિમ પ્રાર્થનામાં થશે શામેલ
અંતિમ પ્રાર્થનામાં શામેલ થવા માટે કોંગ્રેસ મહાસચિવ તેમજ ઉત્તર પ્રદેશ પ્રભારી પ્રિયંકા ગાંધી પણ લખીમપુર ખીરી આવશે.
લખનઉઃ લખીમપુર ખીરી જિલ્લાના તિકુનિયામાં રવિવારે ત્રણ ઓક્ટોબરે થયેલી હિંસામાં ચાર ખેડૂત સહિત આઠ લોકોના મોત થઈ ગયા હતા. હિંસા દરમિયાન માર્યા ગયેલા લોકોના આત્માની શાંતિ માટે અંતિમ પ્રાર્થના(શ્રદ્ધાંજલિ સભા) આજે એટલે કે 12 ઓક્ટોબરે થશે. અંતિમ પ્રાર્થનામાં શામેલ થવા માટે કોંગ્રેસ મહાસચિવ તેમજ ઉત્તર પ્રદેશ પ્રભારી પ્રિયંકા ગાંધી પણ લખીમપુર ખીરી આવશે. તમને જણાવી દઈએ કે એક સપ્તાહની અંદર પ્રિયંકા ગાંધીનો આ બીજો લખીમપુર ખીરીનો પ્રવાસ છે. વળી, આ કાર્યક્રમમાં હજારો ખેડૂતો પહોંચવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે.
ખેડૂતોની અંતિમ પ્રાર્થનાને જોતા સરકાર પણ લખીમપુર ખીરી સહિત આખા પશ્ચિમ યુપીમાં એલર્ટ પર છે. સરકારને ડર છે કે તેમની એક ચૂકથી પશ્ચિમ યુપીનો માહોલ બગડી શકે છે. માટે કોઈ પણ પ્રકારની સ્થિતિને પહોંચી વળવા માટે સરકારે પશ્ચિમ યુપીમાં 20 આઈપીએસ અધિકારીઓને તૈનાત કર્યા છે. વાસ્તવમાં, સંયુક્ત મોરચાએ લખીમપુર ખીરીમાં માર્યા ગયેલા ચાર ખેડૂતોના અંતિમ પ્રાર્થના અનુષ્ઠાનને તકુનિયામાં 12 ઓક્ટોબરના રોજ શહીદ ખેડૂત દિવસ તરીકે મનાવવાનુ આહ્વાન કર્યુ છે.
સંયુક્ત મોરચાએ લોકોને મંદિરો, મસ્જિદો, ચર્ચો અને ગુરુદ્વારાઓમાં પ્રાર્થના સભા આયોજિત કરવાની પણ અપીલ કરી છે. આ ઉપરાંત 18 ઓક્ટોબરના રોજ સવારે 10 વાગ્યાથી સાંજે 4 વાગ્યા સુધી આખા દેશમાં રેલ રોકો વિરોધનુ આયોજન કરવામાં આવશે. ખેડૂતોના રાષ્ટ્રવ્યાપી વિરોધમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી, કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ, યુપીના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ અને અન્ય ભારતીય જનતા પાર્ટી(ભાજપ)ના નેતાઓના દશેરાના દિવસ 15 ઓક્ટોબરે પૂતળા પણ બાળવામાં આવશે.
અંતિમ પ્રાર્થનાનો કાર્યક્રમ સવારે આઠ વાગ્યાથી હશે
\સંયુક્ત મોરચાના તાલુકા અધ્યક્ષ સતનામ સિંહે જણાવ્યુ છે કે મૃતક ખેડૂતોના આત્મની શાંતિ માટે અંતિમ પ્રાર્થના મંગળવારે સવારે આઠ વાગ્યાથી થશે. જ્યાં 8.30 વાગે શબદ કીર્તન હશે જે 10 વાગ્યા સુધી ચાલશે. 10 વાગ્યાથી 2.30 વાગ્યા સુધી શ્રદ્ધાંજલિ કાર્યક્રમ હશે. શ્રદ્ધાંજલિ સભમાં આવવાની બધાને છૂટ હશે અને મંચ સામે બેસવાનુ રહેશે.