પંજાબમાં નહેરોના નવીનીકરણ માટે CM માને કેન્દ્ર સરકાર પાસે માંગ્યુ આર્થિક પેકેજ
પંજાબના મુખ્યમંત્રી ભગવંત માને કેનાલ પ્રોજેક્ટના નવીનીકરણ માટે કેન્દ્ર સરકાર પાસેથી આર્થિક પેકેજની માંગ કરી છે.
ચંદીગઢઃ પંજાબના મુખ્યમંત્રી ભગવંત માને કેનાલ પ્રોજેક્ટના નવીનીકરણ માટે કેન્દ્ર સરકાર પાસેથી આર્થિક પેકેજની માંગ કરી છે. આ માટે મુખ્યમંત્રી કેન્દ્રીય જલ શક્તિ મંત્રીને મળ્યા હતા. જ્યાં તેમણે લુધિયાણાના બુઢા નાલા પ્રોજેક્ટમાં કેન્દ્ર સરકાર પાસે મદદ પણ માંગી હતી. પંજાબના મુખ્યમંત્રી ભગવંત માને કેન્દ્રીય જલ શક્તિ મંત્રી ગજેન્દ્ર સિંહ શેખાવત સાથે મુલાકાત દરમિયાન પંજાબમાં નહેર વ્યવસ્થાપનના નવીનીકરણ માટે વિશેષ ભંડોળ ફાળવવાની માંગ કરી હતી.
મુખ્યમંત્રી ભગવંત માને કહ્યુ કે આઝાદી પહેલા બનેલી અપર બારી દોઆબ કેનાલ (UBDC) હવે ખરાબ હાલતમાં છે. જેના કારણે ખેડૂતોને ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. ભગવંત માને કેન્દ્રીય મંત્રીને કહ્યુ કે આઝાદી બાદ બનેલી કેનાલોને પણ મજબૂત અને નવીનીકરણ કરવાની જરૂર છે. આ માટે કેન્દ્ર સરકારે રાજ્યને વિશેષ પેકેજ આપવું જોઈએ. ભગવંત માને કહ્યું કે આનાથી નહેરોની પાણીની ક્ષમતા વધારવામાં મદદ મળશે અને રાજ્યના ખેડૂતોને ફાયદો થશે. આ દરમિયાન કેન્દ્રીય મંત્રીએ ભગવંત માનને સંપૂર્ણ સહયોગ અને સંકલનનું આશ્વાસન આપ્યુ હતું. તેમણે કહ્યું કે કેન્દ્ર સરકાર પંજાબ સરકારની માંગણીઓ પર વિચાર કરશે.
મુખ્યમંત્રીએ કેન્દ્રીય મંત્રીને એ પણ જણાવ્યુ કે રાજ્ય સરકારે સતલજ નદીની ઉપનદી બુઢા નાલાની સફાઈનો પ્રોજેક્ટ હાથ ધર્યો છે. જે લુધિયાણા જિલ્લામાંથી પસાર થતી નદીની લગભગ સમાંતર વહે છે અને અંતે નદીમાં ભળી જાય છે. નાળાની કુલ લંબાઈ 47.55 કિલોમીટર છે. જેમાંથી 14 કિલોમીટર લુધિયાણા શહેરમાંથી પસાર થાય છે અને શહેરને બે ભાગમાં વહેંચે છે. ભગવંત માને જણાવ્યું હતું કે રાજ્ય સરકારે આ નાળાની સફાઈ માટે રૂ.850 કરોડનો પ્રોજેક્ટ શરૂ કર્યો છે. જેમાં નવા એસટીપી અને સીઈટીપીના નિર્માણ ઉપરાંત હાલના નાળાઓના અપગ્રેડેશનનો સમાવેશ થાય છે. તેમણે કેન્દ્રીય મંત્રીને કહ્યુ કે આ પ્રોજેક્ટનુ 54 ટકા કામ પૂર્ણ થઈ ગયુ છે અને તે માર્ચ 2023 સુધીમાં પૂર્ણ થઈ જશે. ભગવંત માને કેન્દ્ર સરકારને અપીલ કરી છે કે નવી ટેક્નોલોજી લાવવા આ પ્રોજેક્ટમાં રાજ્ય સરકારને મદદ કરે.