સિદ્ધુ બાદ કોંગ્રેસમાં રાજીનામાનો વરસાદ, અમરિંદર જૂથના ધારાસભ્યોએ કરી ફ્લોર ટેસ્ટની માંગઃ સૂત્ર
માત્ર 2 મહિનાની અંદર પંજાબમાં કોંગ્રેસ અધ્યક્ષ પદેથી નવજોત સિંહ સિદ્ધુના રાજીનામુ આપ્યા બાદ કોંગ્રેસ હાઈકમાન્ડ સામે રાજ્યમાં ફરીથી એક વાર સંકટ ઉભુ થઈ ગયુ છે.
ચંદીગઢઃ માત્ર 2 મહિનાની અંદર પંજાબમાં કોંગ્રેસ અધ્યક્ષ પદેથી નવજોત સિંહ સિદ્ધુના રાજીનામુ આપ્યા બાદ કોંગ્રેસ હાઈકમાન્ડ સામે રાજ્યમાં ફરીથી એક વાર સંકટ ઉભુ થઈ ગયુ છે. મંગળવારે જ્યારે પંજાબના પૂર્વ મુખ્યમંત્રી કેપ્ટન અમરિંદર સિંહ પોતાના દિલ્લી પ્રવાસની તૈયારી કરી રહ્યા હતા બરાબર એ જ સમયે નવજોત સિંહ સિદ્ધુએ પોતાનુ રાજીનામુ આપીને ચોંકાવી દીધા. સિદ્ધુના રાજીનામા બાદ તેમના અમુક નજીકના નેતાઓએ પણ રાજીનામા આપી દીધા છે. આ દરમિયાન સૂત્રોના હવાલાથી સમાચાર છે કે કેપ્ટન અમરિંદર સિંહના જૂથના ધારાસભ્યોએ પંજાબના મુખ્યમંત્રી ચરણસિંહ ચન્નીને ફ્લોર ટેસ્ટની માંગ કરી છે.

તમને જણાવી દઈએ કે નવજોત સિંહ સિદ્ધુના રાજીનામા બાદ રાજ્ય કોંગ્રેસ કમિટી અને મંત્રીમંડળથી તેમના અમુક નજીકના ધારાસભ્યોએ પણ રાજીનામા આપ્યા છે. સિદ્ધુ ઉપરાંત પંજાબ કોંગ્રેસમાં જે નેતાઓએ રાજીનામા આપ્યા છે તેમાં હાલમાં પંજાબ કેબિનેટમાં મંત્રી તરીકે શપથ લેનાર રઝિયા સુલતાના અને પ્રદેશ કમિટીના ચાર નેતા- અખિલ ભારતીય કિસાન કોંગ્રેસના સંયુક્ત સચિવ નિર્મલ સિંહ સિદ્ધુ, પ્રદેશ મહાસચિવ યોગિંદર ઢીંગરા, પ્રદેશ કોષાધ્યક્ષ ગુલઝાર ઈંદર ચહલ અને પાર્ટી મહાસચિવ(પ્રશિક્ષણ પ્રભારી) ગૌતમ સેઠ શામેલ છે.
કયા કારણોસર આપ્યુ નવજોત સિંહ સિદ્ધુએ રાજીનામુ?
ઉલ્લેખનીય છે કે મંગળવારે નવજોત સિંહ સિદ્ધુએ સોનિયા ગાંધીને એક પત્ર લખીને પોતાના રાજીનામાનુ એલાન કર્યુ. સિદ્ધુએ પોતાના પત્રમાં લખ્યુ કે તે કોંગ્રેસ પક્ષ નથી છોડી રહ્યા. સૂત્રોની માનીએ તો નવજોત સિંહ સિદ્ધુનો તાલમેલ પંજાબના નવા મુખ્યમંત્રી ચરણજીત સિંહ સાથે નથી બેસી રહ્યો જેના કારણે તેમણે રાજીનામુ આપી દીધુ છે. વળી, સિદ્ધુના રાજીનામા પર પંજાબના પૂર્વ સીએમ કેપ્ટન અમરિંદર સિંહે પણ કટાક્ષ કર્યો. અમરિંદર સિંહે ટ્વિટ કરીને લખ્યુ કે તેમણે પહેલેથી કોંગ્રેસ હાઈકમાન્ડને જણાવી દીધુ હતુ કે નવજોત સિંહ સિદ્ધુ ટકે તેવા નેતા નથી.












Click it and Unblock the Notifications
