પંજાબ વિધાનસભા અધ્યક્ષે માર્કેટ યાર્ડની અચાનક મુલાકાત લઈ ધાનની ખરીદીની સમીક્ષા કરી!
પંજાબમાં સરકાર બન્યા બાદ આમ આદમી પાર્ટીની સરકાર સતત એક્શનમાં જોવા મળી રહી છે.
ચંદીગઢ : પંજાબમાં સરકાર બન્યા બાદ આમ આદમી પાર્ટીની સરકાર સતત એક્શનમાં જોવા મળી રહી છે. હવે પંજાબ વિધાનસભાના અધ્યક્ષ કુલતાર સિંહ સંધવાંએ રવિવારે માલવા પટ્ટાના વિવિધ માર્કેટની અચાનક મુલાકાત કરી હતી અને ડાંગરની સરકારી ખરીદીની સમીક્ષા કરી હતી. તેમણે અધિકારીઓને સરળ ખરીદી સુનિશ્ચિત કરવા નિર્દેશ આપ્યા હતા. મંડીઓની મુલાકાત બાદ સંધવાને પ્રાપ્તિ વ્યવસ્થા પર સંતોષ વ્યક્ત કર્યો અને જ્યાં પણ ખામીઓ જણાય ત્યાં તેને સુધારવાનો આદેશ આપ્યો હતા.
તેમણે ખેડૂતોને 24 કલાકમાં ડાંગરની ખરીદી પર ચૂકવણી કરવા પણ નિર્દેશ આપ્યા હતા. તેમણે કહ્યું કે, પંજાબ સરકાર ખેડૂતોને મંડીઓમાં દરેક સુવિધા આપવા માટે પ્રતિબદ્ધ છે અને આ સંદર્ભે પહેલાથી જ સૂચનાઓ જારી કરવામાં આવી છે. તેમણે કહ્યું કે, ચાલુ સિઝનમાં ખેડૂતોને મંડીઓમાં કોઈ મુશ્કેલીનો સામનો કરવો નહીં પડે.
મંડીઓમાં ડાંગરની આવક પર દેખરેખ રાખવા માટે ફ્લાઈંગ સ્ક્વોડની રચના કરવામાં આવી છે અને સીઝન દરમિયાન કોઈપણ ગેરકાયદેસર ખરીદીને ટાળવા માટે આંતર-રાજ્ય સરહદો પર ચેક-પોસ્ટ મૂકવાની સૂચના આપવામાં આવી છે. આ ઉપરાંત તમામ ખેડૂતોને 24 કલાકમાં ચુકવણીની ખાતરી આપવામાં આવી છે.
સ્પીકરે કહ્યું કે, પંજાબ સરકાર ડાંગરના અનાજની ખરીદી અને પરિવહન માટે પ્રતિબદ્ધ છે. ડાંગરની ખરીદી, ઉપાડ, બારદાનની ઉપલબ્ધતા, વાહનવ્યવહાર, વેતન, વીજળી, પીવાનું પાણી, સ્વચ્છતા, શૌચાલયની સુવિધા અંગે બેદરકારી ન રાખવા સ્પષ્ટ સૂચનાઓ આપવામાં આવી છે. સબ-ડિવિઝનલ મેજિસ્ટ્રેટ દ્વારા જૂથ અનાજ બજારોનું નિરીક્ષણ કરવામાં આવે છે અને તમામ સરકારી ખરીદ એજન્સીઓને સરકારની સૂચનાઓનું પાલન કરવાનો આદેશ આપવામાં આવ્યો છે.