Punjab News : ગામડાઓને મળશે પીવાનું શુદ્ધ પાણી, CM માન પ્રોજેક્ટને મંજૂરી આપી
Punjab News : પંજાબના ગામડાઓમાં પીવાનું શુદ્ધ પાણી પહોંચાડવા માટે મુખ્યમંત્રી ભગવંત માન દ્વારા રૂપિયા 165.53 કરોડના પ્રોજેક્ટને મંજૂરી આપવામાં આવી છે. આ પ્રોજેક્ટ થકી રાજ્યના સરહદી જિલ્લાઓ તેમજ અન્ય જિલ્લાઓના ગામડાઓમાં પાણીની ગુણવત્તામાં સુધારો થશે.
જ્યાં પણ પાણીની અછત કે જરૂરિયાત હશે, ત્યાં પાણીનો પૂરતો પુરવઠો સુનિશ્ચિત કરવામાં આવશે. આ અંગે પાણી પુરવઠા અને સ્વચ્છતા મંત્રી બ્રહ્મશંકર જીમ્પાએ જણાવ્યું હતું કે, વિવિધ યોજનાઓ હેઠળ આવા ચાર પ્રોજેક્ટને મંજૂરી આપવામાં આવી છે, જેના દ્વારા પીવાનું શુદ્ધ પાણી પૂરું પાડવામાં આવશે.

તેમણે જણાવ્યું હતું કે, 55.83 કરોડના ખર્ચે 2023-24 સુધીમાં 16 જિલ્લાઓમાં 63 યોજનાઓ પૂર્ણ કરવાની દરખાસ્ત છે. આ 16 જિલ્લાઓમાંથી 6 સરહદી જિલ્લાઓમાં તરનતારન, અમૃતસર, ગુરદાસપુર, પઠાણકોટ, ફાઝિલ્કા અને ફિરોઝપુરનો સમાવેશ થાય છે.
તેમણે માહિતી આપી હતી કે, આ જ રીતે 21 જિલ્લાઓમાં 181 નવી યોજનાઓ રૂપિયા 55.61 કરોડના ખર્ચે નિર્માણ/રિનોવેશન હેઠળ છે. આ કામ માર્ચ 2024 પહેલા પૂર્ણ કરવામાં આવશે.
આવી જ રીતે 7 જિલ્લામાં રૂપિયા 40.35 કરોડના ખર્ચે કામ ચાલી રહ્યું છે, જે 2023-24માં પૂર્ણ થશે. જીમ્પાએ જણાવ્યું હતું કે, 13.74 કરોડના ખર્ચે 16 જિલ્લામાં 103 નવા ટ્યુબવેલ લગાવવાની વ્યવસ્થા કરવામાં આવી છે. તેમાંથી 3 જિલ્લા પઠાણકોટ, ફિરોઝપુર અને ફાઝિલ્કા સાથે સરહદે આવેલા છે. નવા ટ્યુબવેલની સ્થાપના માર્ચ 2024 પહેલા પૂર્ણ કરવાનો લક્ષ્યાંક છે.
જિમ્પાએ જણાવ્યું હતું કે, મુખ્યમંત્રી ભગવંત માન ઘણી વખત કહી ચૂક્યા છે કે, ગામડાઓનો વિકાસ અને ગામડાઓને તમામ પ્રકારની સુવિધાઓથી સજ્જ કરવું એ પંજાબ સરકારની પ્રાથમિકતા છે અને આ ઉદ્દેશ્યને પૂર્ણ કરવા માટે પાણી પુરવઠા અને સ્વચ્છતા વિભાગ પોતાનું સંપૂર્ણ યોગદાન આપી રહ્યું છે.












Click it and Unblock the Notifications
