બોફોર્સ કૌભાંડનો રાજ દફન, મુખ્ય આરોપી ક્વાત્રોચીનું નિધન
અત્રે ઉલ્લેખનીય છે કે બોફોર્સ તોપોની ડિલ 1986માં થઇ હતી અને આ ડિલને 1437 કરોડ રૂપિયામાં કરવામાં આવી હતી. ગાંધી પરિવારના ખાસ માનવામાં આવતા ક્વાત્રોચી પર 64 કરોડ રૂપિયાના બોફોર્સ તોપ ડિલમાં દલાલીનો આરોપ હતો.
આ સોદામાં ભારત સરકારે સ્વીડનની એક કંપની એબી બોફોર્સે 155 એમએમની 410 હોવિત્જર બોફોર્સ તોપ ખરીદી હતી. સોદામાં દલાલીના આરોપ પર સીબીઆઇએ 22 જાન્યુઆરી 1990માં કેસ નોંધ્યો હતો. જોકે સીબીઆઇએ ક્વાત્રોચીની સામે કાર્યવાહીની દરેક સંભવ કોશિશ કરી હતી પરંતુ તે કોઇ નક્કર પરિણામ મેળવવામાં નિષ્ફળ રહી. સીબીઆઇએ ક્વાત્રોચીના પ્રત્યર્પણ માટે પણ દરેક સંભવ પ્રયાસ કર્યા પરંતુ પ્રત્યર્પણ મેળવી શકી નહી. તત્કાલિન પ્રધાનમંત્રી રાજીવ ગાંધી પર ક્વાત્રોચીને બચાવવાનો આરોપ લાગ્યો હતો.
વર્ષ 2002માં ક્વાત્રોચીના ભારત પ્રત્યર્પણની સીબીઆઇની પહેલી કોશિશ મલેશિયામાં નિષ્ફળ રહી. ત્યારબાદ ક્વાત્રોચીની 2007માં ઇન્ટરપોલના વોરન્ટના આધારે આર્જેન્ટિનામાં ધરપકડ કરવામાં આવી હતી પરંતુ સીબીઆઇની પૂરતી તૈયારીઓના અભાવે તેનું પ્રત્યાર્પણ થઇ શક્યું નહીં. બંને વખતે ક્વાત્રોચીનો આબાદ બચાવ થયો.
ચોંકાવનારી વાત એ છે કે 19 વર્ષ સુધી કોર્ટમાં મામલો ચલાવ્યા બાદ 2009માં સીબીઆઇએ ક્વાત્રોચી પર ચાલી રહેલો મામલો બંધ કરવાની ભલામણ કરી. જેના પગલે દિલ્હીની તીસ હજારી કોર્ટે 4 માર્ચ 2011ના રોજ ક્વાત્રોચીને લાંચ કેસના મામલે ક્લિન ચીટ આપી દીધી. કોંગ્રેસ પર પણ ક્વાત્રોચીને બચાવવાના આરોપ લાગતા રહ્યા છે. જાણકારોનું માનવું છે કે ક્વાત્રોચીના મોત બાદ પણ રાજકીય ફાયદા માટે બોફોર્સ કાંડનો મુદ્દો જ્વલંત રહેશે.