રાહુલ ગાંધીએ પૂછ્યું - શું પેગાસસનો ડેટા વડાપ્રધાન અને ગૃહ મંત્રાલય પાસે જઈ રહ્યો હતો? જવાબ આપે સરકાર
એક મોટો નિર્ણય આપતાં સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકાર પર ટીપ્પણી કરતા જણાવ્યું હતું કે, સરકાર રાષ્ટ્રીય સુરક્ષાના નામે દર વખતે છૂટ મેળવી શકે નહીં.
નવી દિલ્હી : સુપ્રીમ કોર્ટ દ્વારા બુધવારના રોજ પેગાસસ જાસૂસી કેસની તપાસ માટે નિષ્ણાત સમિતિની રચના કરી છે. એક મોટો નિર્ણય આપતાં સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકાર પર ટીપ્પણી કરતા જણાવ્યું હતું કે, સરકાર રાષ્ટ્રીય સુરક્ષાના નામે દર વખતે છૂટ મેળવી શકે નહીં. તપાસ માટે રચાયેલી સમિતિનું નેતૃત્વ સુપ્રીમ કોર્ટના પૂર્વ જસ્ટિસ આરવી રવિેન્દ્રન કરશે. આ દરમિયાન ફરી એકવાર પૂર્વ કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ પેગાસસ મુદ્દે કેન્દ્રની નરેન્દ્ર મોદી સરકાર પર પ્રહારો કર્યા છે.
પ્રેસ કોન્ફરન્સને સંબોધતા રાહુલ ગાંધીએ જણાવ્યું હતું કે, પેગાસસનો ઉપયોગ મુખ્ય પ્રધાનો, ભૂતપૂર્વ વડાપ્રધાનો, બીજેપી પ્રધાનો સહિત અન્ય લોકો વિરુદ્ધ કરવામાં આવ્યો હતો. શું PM અને HM પેગાસસનો ઉપયોગ કરીને ડેટા મેળવી રહ્યા હતા? જો ચૂંટણી પંચ, સીઈસી અને વિપક્ષી નેતાઓના ફોન ટેપિંગનો ડેટા વડાપ્રધાન પાસે જઈ રહ્યો હોય તો તે ગુનાહિત કૃત્ય છે. પેગાસસે ભારતીય લોકશાહીના જોમને કચડી નાખવાનો પ્રયાસ કર્યો છે. રાહુલ ગાંધીએ પણ સુપ્રીમ કોર્ટના નિર્ણયનું સ્વાગત કર્યું છે.
રાહુલ ગાંધીએ વધુમાં જણાવ્યું કે, પેગાસસ કેસ દેશની લોકશાહી પર હુમલો છે, સંસદમાં થયેલા હુમલાએ ત્રણ પ્રશ્નો ઉભા કર્યા હતા. પેગાસસ કોણે ખરીદ્યું? કોના ફોન ટેપ થયા અને કોના પર આ માલવેરનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. પેગાસસ વિશે એક યાદી પણ જાહેર કરવામાં આવી હતી, જેમાં મુખ્ય ન્યાયાધીશ, ભૂતપૂર્વ વડાપ્રધાનો, મુખ્ય પ્રધાનો, ભાજપના નેતાઓ અને ઘણા વિપક્ષી નેતાઓની જાસૂસી પેગાસસ વિશે કરવામાં આવી હતી. રાહુલે વધુમાં જણાવ્યું હતું કે, અમને ખુશી છે કે, સુપ્રીમ કોર્ટે આ ગંભીર મુદ્દાની તપાસ સ્વીકારી છે, અમે આ મુદ્દો ફરીથી સંસદમાં ઉઠાવીશું. અમારો પ્રયાસ રહેશે કે સંસદમાં આ અંગે ચર્ચા થાય, જો કે, મને ખાતરી છે કે ભાજપને આ ચર્ચા પસંદ નહીં આવે.
Pegasus was used against CMs, former PMs, BJP's ministers among others. Was PM & HM getting the data obtained through use of Pegasus? If the data of phone tapping of Election Commission, CEC & Opposition leaders are going to PM, then it's a criminal act: Rahul Gandhi, Congress pic.twitter.com/dUEmyYsgtw
— ANI (@ANI) October 27, 2021
સુપ્રીમ કોર્ટના ભૂતપૂર્વ ન્યાયાધીશ આરવી રવિન્દ્રન સમિતિના વડા હશે
સુપ્રીમ કોર્ટે 27 ઓક્ટોબરના રોજ જણાવ્યું હતું કે, પેગાસસ કેસ પર કેન્દ્ર તરફથી કોઈ ચોક્કસ ખંડન નથી, આમ અમારી પાસે અરજદારોની અરજીઓને પ્રથમ દૃષ્ટિએ સ્વીકારવા સિવાય કોઈ વિકલ્પ નથી. અમે આ કેસમાં નિષ્ણાત સમિતિની નિમણૂક કરી રહ્યા છીએ, જે સુપ્રીમ કોર્ટની દેખરેખ હેઠળ તપાસ કરશે. ત્રણ સભ્યોની સમિતિનું નેતૃત્વ સુપ્રીમ કોર્ટના ભૂતપૂર્વ ન્યાયાધીશ આરવી. રવિન્દ્રન કરશે. તેના અન્ય સભ્યો આલોક જોશી અને સંદીપ ઓબેરોય હશે. સુપ્રીમ કોર્ટે સમિતિને આરોપોની સંપૂર્ણ તપાસ કરવા અને કોર્ટ સમક્ષ રિપોર્ટ રજૂ કરવા જણાવ્યું છે.
વિદેશી એજન્સીની સંડોવણી ચિંતાનો વિષય છે
સુપ્રીમ કોર્ટે જણાવ્યું હતું કે, આપણે માહિતીના યુગમાં જીવીએ છીએ અને આપણે સ્વીકારવું જોઈએ કે ટેક્નોલોજી મહત્વપૂર્ણ છે, પરંતુ ગોપનીયતાના અધિકારની સુરક્ષા માત્ર પત્રકારો માટે જ નહીં, પરંતુ તમામ નાગરિકો માટે પણ મહત્વપૂર્ણ છે. આવી સ્થિતિમાં પેગાસસ કેસમાં જૂઠ અને સત્ય શોધવા માટે એક સમિતિની રચના કરવામાં આવી છે. આ મામલે ગોપનીયતાના અધિકારના ઉલ્લંઘનની તપાસ થવી જોઈએ. ભારતીયોની દેખરેખમાં વિદેશી એજન્સીની સંડોવણી ગંભીર ચિંતાનો વિષય છે.
ઘણા લોકોએ અરજી કરી હતી
એડવોકેટ એમએલ શર્મા, રાજ્યસભાના સાંસદ જોન બ્રિટાસ, પત્રકાર એન રામ અને શશિ કુમાર, જગદીપ ચોકર, નરેન્દ્ર મિશ્રા, પત્રકાર રૂપેશ કુમાર સિંહ, એડિટર્સ ગિલ્ડ ઑફ ઈન્ડિયા તરફથી પેગાસસ કેસની તપાસની માગ કરતી અરજી દાખલ કરવામાં આવી હતી. આ અરજીઓ પર પહેલી સુનાવણી કોર્ટે 5મી ઓગસ્ટે કરી હતી, જે ઘણા રાઉન્ડ સુધી ચાલી હતી અને બુધવારે તેના પર કોર્ટનો આદેશ આવ્યો હતો.
શું છે પેગાસસનો સમગ્ર મામલો?
ઘણા મોટા મીડિયા ગ્રુપે એક રિપોર્ટ જાહેર કર્યો છે. જેમાં એવો દાવો કરવામાં આવ્યો છે કે, ઇઝરાયેલની કંપનીના જાસૂસી સોફ્ટવેર પેગાસસને ફોન પર મોકલીને ઘણા દેશોમાં હજારો લોકોની જાસૂસી કરવામાં આવી હતી. તેમાં ભારતનું નામ પણ છે. ભારતમાં બે મંત્રીઓ, અનેક વિપક્ષી નેતાઓ, પત્રકારો, ન્યાયાધીશો, ઉદ્યોગપતિઓ અને કાર્યકરોના નામ સામે આવ્યા છે, જેમની જાસૂસી હોવાનો દાવો કરવામાં આવ્યો છે.