કોંગ્રેસની ભારત જોડો યાત્રા પર પ્રશાંત કિશોરે ઉઠાવ્યા સવાલ, કહી મોટી વાત
ભૂતપૂર્વ ચૂંટણી વ્યૂહરચનાકાર પ્રશાંત કિશોરે મંગળવારે રાહુલ ગાંધીની ભારત જોડો યાત્રા પર સવાલ ઉઠાવ્યા છે.
નવી દિલ્લીઃ ભૂતપૂર્વ ચૂંટણી વ્યૂહરચનાકાર પ્રશાંત કિશોરે મંગળવારે રાહુલ ગાંધીની ભારત જોડો યાત્રા પર સવાલ ઉઠાવતા કહ્યુ કે, તેમણે ભાજપ શાસિત રાજ્ય ગુજરાત અથવા અન્ય રાજ્યમાંથી તેમની યાત્રા કરવી જોઈતી હતી. પ્રશાંત કિશોર કહે છે કે કોંગ્રેસે તેની ભારત જોડો યાત્રા ગુજરાત કે જ્યાં આ વર્ષે ચૂંટણી યોજાવાની છે ત્યાંથી અથવા ઉત્તર પ્રદેશ, મધ્યપ્રદેશ જેવા ભાજપ શાસિત રાજ્યમાંથી શરૂ કરી હોત તો સારુ હોત. તમને જણાવી દઈએ કે રાહુલ ગાંધીએ પોતાની યાત્રા તમિલનાડુથી શરૂ કરી હતી.
નોંધનીય છે કે પ્રશાંત કિશોર કોંગ્રેસમાં જોડાઈ શકે તેવી અટકળો ચાલી રહી હતી પરંતુ બાદમાં પ્રશાંત કિશોરે પોતે જ આ વાતને નકારી કાઢી હતી. તેમને પાર્ટીની ચૂંટણી રણનીતિ ઘડવાની ઑફર કરવામાં આવી હતી. મહારાષ્ટ્રમાં વિદર્ભનુ સમર્થન કરી રહેલા લોકો સાથે વાત કરતા પ્રશાંત કિશોરે કહ્યુ કે આ વિસ્તારના લોકોએ એક થવાની જરૂર છે જેથી તેઓ અલગ રાજ્યનુ પોતાનુ સપનુ પૂરુ કરી શકે.
ભાજપના પૂર્વ ધારાસભ્ય આશિષ દેશમુખે નાગપુરમાં આ કાર્યક્રમનુ આયોજન કર્યુ હતુ. આ કાર્યક્રમ પૂર્વ મહારાષ્ટ્રમાં અલગ રાજ્યની માંગ માટે આયોજિત કરવામાં આવ્યો હતો. આ દરમિયાન પ્રશાંત કિશોરે કહ્યુ કે જો લોકોને આશા હોય તો અલગ વિદર્ભ રાજ્યના વિચારને આગળ લઈ જઈ શકાય છે. તમારુ પ્રદર્શન કેન્દ્ર સુધી પહોંચવું જોઈએ, તેની રાષ્ટ્રીય અસર થવી જોઈએ. આ અભિયાન સમાજમાંથી બહાર આવવુ જોઈએ. આ દરમિયાન પ્રશાંત કિશોરે કહ્યુ કે મે હવે ચૂંટણી રણનીતિકાર તરીકે કામ કરવાનું બંધ કરી દીધુ છે. હવે હું લોકો માટે અને કોઈપણ પક્ષ માટે કામ કરવા માંગુ છુ.