Rahul Gandhi On Caste Census : જાતિગત વસ્તી ગણતરીના નિર્ણયનું રાહુલ ગાંધીએ સ્વાગત કર્યુ, જાણો શું કહ્યું?
Rahul Gandhi On Caste Census : લોકસભામાં વિપક્ષના નેતા અને કોંગ્રેસના સાંસદ રાહુલ ગાંધીએ કેન્દ્ર સરકારના જાતિ ગણતરીના નિર્ણયનું સ્વાગત કર્યું છે. તેમણે જણાવ્યું કે, જાતિ ગણતરીની રચના માટે અમે સરકારને સંપૂર્ણ સમર્થન આપીશું.
રાહુલ ગાંધીએ કહ્યું કે, આ માટે એક મજબૂત યોજનાની જરૂર છે અને અમે તેનો ખરડો તૈયાર કરી આપીશું. તેમણે બિહાર અને તેલંગાણાના ઉદાહરણોનો ઉલ્લેખ કરતાં કહ્યું કે, બંને રાજ્યોની ગણતરી પદ્ધતિઓમાં નોંધપાત્ર તફાવત છે. રાહુલ ગાંધીએ સરકારને આ પ્રક્રિયાની સ્પષ્ટ સમયરેખા અને પદ્ધતિ જાહેર કરવા જણાવ્યું.

રાહુલ ગાંધીએ વધુમાં કહ્યું કે, અમે સંસદમાં પ્રતિબદ્ધતા દર્શાવી હતી કે જાતિ ગણતરી કરાવીશું અને 50 ટકાની અનામત મર્યાદાને પણ તોડીશું.
તેમણે કહ્યું કે, 11 વર્ષ બાદ અચાનક સરકારે જાતિ ગણતરીની જાહેરાત કરી તે રહસ્યમય છે. તેમણે ભાજપ પર 50 ટકાની અનામત મર્યાદા હટાવવા માટે પણ દબાણ ચાલુ રાખવાની વાત કરી છે.
રાહુલ ગાંધીએ ભારપૂર્વક જણાવ્યું કે, જાતિ ગણતરી માટે તેમણે દેશભરમાં વ્યાપક અભિયાન ચલાવ્યું હતું, જેના પરિણામે આ નિર્ણય શક્ય બન્યો. તેમણે કહ્યું કે, પહેલાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી દાવો કરતા હતા કે દેશમાં માત્ર ચાર જાતિઓ છે, પરંતુ હવે તેમણે જાતિ ગણતરીની જાહેરાત કરી. અમે આ ગણતરી દ્વારા દેશમાં નવી વિકાસની દિશા લાવવા માંગીએ છીએ.
રાહુલ ગાંધીએ ઉમેર્યું કે, ઓબીસી, દલિત કે આદિવાસીઓની દેશની વસ્તીમાં ભાગીદારી કેટલી છે, તે જાતિ ગણતરીથી જ સ્પષ્ટ થશે. પરંતુ અમારે આગળ વધીને દેશની સંસ્થાઓ અને શક્તિ માળખામાં આ વર્ગોની સહભાગિતા પણ જાણવી જોઈએ.
તેમણે કોંગ્રેસના ચૂંટણી ઢંઢેરામાં નિવેદનનો ઉલ્લેખ કરતાં કહ્યું કે, અમે ખાનગી શૈક્ષણિક સંસ્થાઓમાં આર્ટિકલ 15(5) હેઠળ અનામત લાગુ કરવાની હિમાયત કરી હતી. સરકારે આ નિર્ણય સ્વીકાર્યો, જેના માટે અમે આભાર વ્યક્ત કરીએ છીએ. પરંતુ અમને જાતિ ગણતરીની સંપૂર્ણ સમયરેખા અને વિકાસલક્ષી દ્રષ્ટિકોણ પણ જોઈએ.












Click it and Unblock the Notifications
