Rajasthan Election : રાજનીતિ છોડવા જઈ રહી છે વસુંધરા રાજે? જાણો શું કહે છે સંકેત?
દેશના પાંચ રાજ્યોમાં રાજસ્થાનમાં પણ ચૂંટણી યોજાવા જઈ રહી છે. અહીં એક તરફ અશોક ગેહલોત ખુરશી બચાવવા તો બીજી તરફ વસુંધરા રાજે શાખ બચાવવા મેદાને છે.
એક તરફ સમર્થકો પૂર્વ મુખ્યમંત્રી વસુંધરા રાજે સિંધિયાને રાજ્યમાં મુખ્યમંત્રી પદના ઉમેદવાર બનાવવાની માંગ કરી રહ્યા છે તો બીજી તરફ વસુંધરા રાજેએ રાજકારણ છોડવાના સંકેત આપ્યા છે.

વસુંધરા રાજેના પુત્ર દુષ્યંત સિંહે ઝાલાવાડમાં ચૂંટણી પ્રચાર માટે સભા સંબોધિત કરી. વસુંધરા તેનાથી એટલી ઉત્સાહિત હતી કે તેણે પોતાના સંબોધન દરમિયાન મહત્વપૂર્ણ સંકેતો આપ્યા.
વસુંધરા રાજેએ કહ્યું કે, મારા પુત્રની વાત સાંભળ્યા પછી મને લાગે છે કે મારે હવે નિવૃત્તિ લેવી જોઈએ. તમે બધાએ તેને એટલી સારી રીતે તાલીમ આપી છે કે મારે તેને આગળ ધકેલવાની જરૂર નથી. તમામ ધારાસભ્યો અહીં છે અને મને લાગે છે કે તેમના પર નજર રાખવાની જરૂર નથી. તે પોતાના દમ પર લોકો માટે કામ કરશે.
વસુંધરા રાજેના પુત્ર દુષ્યંત સિંહ ઝાલાવાડ-બારણ લોકસભા સીટથી સાંસદ છે. પાંચ વખત સાંસદ અને ચાર વખત ધારાસભ્ય રહી ચૂકેલી વસુંધરા રાજેને મુખ્યમંત્રીના ચહેરા તરીકે જાહેર કરવાની સતત માંગ કરવામાં આવી રહી છે.
શુક્રવારે મીટિંગમાં ત્રણ દાયકામાં ક્ષેત્રમાં કરેલા કાર્યોનો હિસાબ રજૂ કર્યા પછી વસુંધરા રાજેએ કહ્યું કે, મારા પુત્રની વાત સાંભળ્યા પછી હવે મને લાગે છે કે હું નિવૃત્તિ લઈ શકું છું. ચિંતા કરવાની જરૂર નથી.
આ પછી રાજ્યમાં સત્તા પરિવર્તનનું આહ્વાન કરતા વસુંધરા રાજેએ કહ્યું કે, કોંગ્રેસ સરકારમાં ઘણો ભ્રષ્ટાચાર થયો, પ્રશ્નપત્રો લીક થયા. જો રાજસ્થાનને ફરીથી દેશનું નંબર વન રાજ્ય બનાવવું હશે તો બીજેપીને સત્તામાં લાવવી પડશે. તમને જણાવી દઈએ કે રાજસ્થાનમાં 25 નવેમ્બરે મતદાન છે અને 3 ડિસેમ્બરે મતગણતરી થશે.












Click it and Unblock the Notifications
