રામ જન્મભૂમિ પર જ રામ મંદિર બનેઃ રાજનાથ સિંહ
અલ્હાબાદમાં મહાકુંભમાં વિશ્વહિન્દુ પરિષદની આ સભામાં હાજરી આપતા ભાજપ અધ્યક્ષે કહ્યું કે, રામ મંદિર આપણી પહેલી પ્રાથમિકતા છે. દેશના કરોડો રામભક્તોની ઇચ્છા છે કે, રામ જન્મભૂમિ પર રામ મંદિર બને અને એ કરોડો રામભક્તોની ઇચ્છા પૂર્ણ થવી જોઇએ. રામ જન્મભૂમિ પર જ રામ મંદિર બનવું જોઇએ.
નોંધનીય છે કે, વિહિપની આ બેઠકમાં ભાજપ દ્વારા આગામી લોકસભાની ચૂંટણી માટે પ્રધાનમંત્રી પદના ઉમેદવાર તરીકે નરેન્દ્ર મોદીના નામની ઘોષણા કરવામાં આવે અને આગામી ચૂંટણીને લઇને કોઇ ચોક્કસ પ્રકારની રણનીતિ ઘડવામાં આવે તેવી આશાઓ દેશના રાજકિય તજજ્ઞો દ્વારા વ્યક્ત કરવામાં આવી રહી છે.
આ પહેલા વિશ્વ હિન્દુ પરિષદ(વિહિપ)ના વરિષ્ઠ નેતા અશોક સિંઘલે ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીની તુલના પૂર્વ પ્રધાનમંત્રી જવાહર લાલ નહેરુ સાથે કરી છે અને કહ્યું છે કે મોદી એવી જ લોકપ્રિયતાની અનુભૂતિ કરી રહ્યાં છે જેવી જવાહર લાલ નહેરુએ અનુભવી હતી. નહેરુ બાદ પહેલી વાર લોકો તરફથી એવી માગં આવી રહી છે કે મોદી દેશના પ્રધાનમંત્રી બને.
પૂર્વ વિહિપ ચીફનું આ પ્રકારનું નિવેદન ભાજપ અધ્યક્ષ રાજનાથ સિંહની મુલાકાત પહેલાના થોડા સમય અગાવ જ આવ્યું હતું. રાજનાથ સિંહ ત્યાં સંઘ પરિવારના વરિષ્ઠ નેતાઓને મળ્યા અને વિશ્વ હિન્દુ પરિષદની સેન્ટ્રલ એડવાઇઝરી કમિટિની બેઠકમાં ભાગ લીધો હતો. વિહિપનો સમારોહ મર્યાદા અને સીમા અનુરુપ હોવાનું જણાવતા પૂર્વ વિહિપ ચીફે કહ્યું છે, ' રાજકારણ સાથે જોડાઇને અમે શાંતિ ભંગ કરવા માગતા નથી. અમારો આત્મા સંપૂર્ણપણે હિન્દુ સમાજ માટે સમર્પિત છે.