દિલ્હી કૂચ પર મોદીનું પ્રથમ પગરણઃ સંસદીય બોર્ડમાં થશે સામેલ
મોદી સંસદીય બોર્ડના સભ્ય બનવાની અટકળો તેઓએ સતત ત્રીજીવાર ગુજરાતની ચૂંટણી જીત્યા બાદથી લગાવાઇ રહી હતી. પાર્ટીના નવા અધ્યક્ષ રાજનાથ સિંહએ પણ મોદીના વધતા કદનો સ્વિકાર કર્યો હતો. સંસદીય બોર્ડમાં મોદી પાર્ટીના એકમાત્ર મુખ્યમંત્રી હશે. મધ્ય પ્રદેશના મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણનું નામ પણ ચર્ચાઇ રહ્યું હતું, પરંતુ માત્ર મોદીને સંસદીય બોર્ડમાં સામેલ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.
સંસદીય બોર્ડ ભાજપની સર્વોચ્ચ સમિતિ હોય છે અને તેના તમામ સભ્યો ચૂંટણી પ્રબંધન સમિતિના સભ્યો પણ હોય છે. ચૂંટણી, ઉમેદવારી સાથે જોડાયેલા નિર્ણયો હોય કે કોઇ નેતાને પાર્ટીમાં લેવાનો નિર્ણય પણ બોર્ડ દ્વારા કરવામાં આવે છે. તેવામાં સંસદીય બોર્ડમાં મોદીની એન્ટ્રી રાષ્ટ્રીય સ્તરના રાજકારણની શરૂઆત તરીકે જોવામાં આવી રહી છે.
જૂના મહાસચિવોમાંથી ચારને નવી ટીમમાં સ્થાન મળી રહ્યું છે. સંગઠન મહામંત્રી રામલાલ, અનંત કુમાર, થાવરચંદ ગહલોત અને જેપી નડ્ડા યથાવત રહેશે. બાકીના છ નવા મહાસચિવોમાં નરેન્દ્ર મોદીના નજીકના અમિત શાહ અને વરુણ ગાંધીના નામ નક્કી છે. રાજીવ પ્રતાપ રૂડી પર પણ મોહર લાગી ચૂકી છે. જો કે, બિહારથી આવતા બીજા નેતા રાધામોહન સિંહનું નામ પણ ચર્ચામાં છે. બન્નેમાંથી કોઇ એકને સ્થાન મળશે.