"જેલમાં જમીન પર બેસીને માત્ર રડ્યા જ કરે છે રામ રહીમ"
બે સાધ્વીઓ સાથે બળાત્કારના ગુનામાં જેલમાં કેદ રામ રહીમ જમીન પર બેસીને માત્ર રડ્યા જ કરે છે.
બે સાધ્વીઓ સાથે બળાત્કારના કેસમાં જેલમાં સજા કાપી રહેલ ડેરા સચ્ચા સૌદાના પ્રમુખ ગુરમીત રામ રહીમ સિંહ અંગે વધુ એક જાણકારી સામે આવી છે. પોતાની આલીશન ગુફામાંથી સુનારિયા જેલમાં સ્થળાંતરિત થયેલ બાબા રામ રહીમ અંગે દલિત નેતા સ્વદેશ કિરાડે જાણકારી આપી છે. સ્વદેશ કિરાડને 9 મહિના પહેલાં રોહતકની સુનારિયા જેલમાં બંધ કરવામાં આવ્યા હતા. સ્વદેશ કિરાડે બાબા રામ રહીમ અંગે વાત કરતાં જણાવ્યું હતું કે, રામ રહીમ જેલમાં જમીન પર બેસીને રડ્યા કરે છે. તે ના તો જેલની ચા પીએ છે ના તો પાણી.
રામ રહીમના વળતા પાણી
ઉલ્લેખનીય છે કે, નેતા સ્વદેશ કિરાડ રામ રહીમની બેરેકની સામેવાળી બેરેકમાં જ બંધ હતા અને 29 ઓગસ્ટના રોજ જ જેલમાંથી મુક્ત થયા છે. એબીપી સાથેની ખાસ વાતચીતમાં સ્વદેશ કિરાડે જણાવ્યું હતું કે, રામ રહીમ જેલ અધિકારી અને કર્મચારી સિવાય કોઇની સાથે વાત નથી કરતા. તે માત્ર જમીન પર બેસી રડ્યા કરે છે અને રડતા-રડતા પૂછે છે કે, હે ભગવાન, તમે મારી સાથે આ શું કર્યું? સ્વદેશ કિરાડ અનુસાર, રામ રહીમને જેલમાં બિસલેરીનું પાણી આપવામાં આવી રહ્યું છે. આ પાણીના પૈસા રામ રહીમની જેલની કમાણીમાંથી કાપવામાં આવશે.
બાબા અંગેની જાણકારી રખાશે ગુપ્ત
નોંધનીય છે કે, રામ રહીમને બળાત્કારના મામલે 20 વર્ષની જેલની સજા થઇ છે. આ મામલે અદાલતનો ચુકાદો આવ્યા બાદ ડેરાના સમર્થકોમાં રોષ ફરી વળ્યો હતો અને એને કારણે પંજાબ અને અને હરિયાણામાં હિંસાનું વાતાવરણ સર્જાયું હતું, જેમાં લગભગ 40 લોકોનું મૃત્યુ થયું હતું. રાજ્યમાં તણાવની પરિસ્થિતિને જોતાં રાજ્ય સરકાર રામ રહીમને લગતી જાણકારીઓ ગુપ્ત રાખવાનું વલણ અપનાવી રહી છે. એવું પણ કહેવાઇ રહ્યું છે કે, રામ રહીમને રોહતકમાંથી અન્ય કોઇ જેલમાં સ્થળાંતરિત કરવામાં આવશે અન તેને ક્યાં રાખવામાં આવ્યા છે એ જાણકારી કોઇને આપવામાં નહીં આવે.