2002નો એ અજ્ઞાત પત્ર, જેના કારણે રામ રહીમને મળી સજા
ડેરા સચ્ચા સૌદાની સાધ્વી દ્વારા લખાયેલ એ પત્ર, જેના કારણે સમગ્ર ઘટના પ્રકાશમાં આવી.
વિવિદાસ્પદ રામ રહીમ કેસમાં આખરે કહેવાતા ધર્મગુરૂને બે સાધ્વી પર બળાત્કારના ગુના બદલ 20 વર્ષની સજા કરવામાં આવી છે. ડેરા સચ્ચા સૌદાના પ્રમુખ ગુરમીત રામ રહીમ સિંહ વિરુદ્ધ ગુનો સાબિત કરવા માટે સીબીઆઇ દ્વારા 18 મહિલાઓને પોતાના નિવેદન આપવા માટે મનાવવામાં આવી હતી, પરંતુ એમાંથી માત્ર 2 મહિલાઓ સામે આવી. કોર્ટમાં જ્યારે રામ રહીમને સજા સંભળાવવામાં આવી ત્યારે તે જમીન પર બેસી દયાની ભીખ માંગતા નજરે પડ્યા હતા.
બાબા રામ રહીમના ડેરા સચ્ચા સૌદામાં ચાલતા કુકર્મોની કહાણી વર્ષ 2002માં લખાયેલા એક અજ્ઞાત પત્ર દ્વારા દેશ સમક્ષ આવી હતી. આ કહેવાતા ધર્મગુરૂને સજા મળતાં 15 વર્ષ લાગ્યા. વર્ષ 2002માં ડેરાની એક સાધ્વીએ વડાપ્રધાન અટલ બિહારી વાજપાયીને એક પત્ર લખ્યો હતો, જેને કારણે આ આખો મામલો પ્રકાશમાં આવ્યો. પીડિતાએ આ પત્ર હિંદી ભાષામાં લખ્યો હતો, જેમાં તેણે પોતાની આપવીતી વર્ણવી હતી. આ પત્રના મુખ્ય અંશોનો ભાવાનુવાદ વાંચો અહીં...
રાત્રે 10 વાગે મોકલ્યું તેડું
હું પંજાબની યુવતી છું અને ડેરા સચ્ચા સૌદા, સિરસા(હરિયાણા) ખાતે છેલ્લા 5 વર્ષથી સાધ્વી તરીકે ફરજ બજાવું છું. મારી સાથે અહીં એવી હજારો યુવતીઓ છે, જે રોજ 18 કલાક સેવા આપે છે. પરંતુ અહીં અમારું યૌન શોષણ થાય છે. ડેરાના મહારાજ(ગુરમીત સિંહ) અહીં ડેરામાં યુવતીઓનો બળાત્કાર કરે છે. હું ગ્રેજ્યૂએટ છું, પરંતુ મારા પરિવારને મહારાજમાં આંધળો વિશ્વાસ છે. હું સાધ્વી બની પછી બે વર્ષે મહારાજે એક ખાસ મહિલા શિષ્ય દ્વારા રાત્રે 10 વાગે મને તેડું મોકલાવ્યું હતું. મહારાજે મને બોલાવી છે, એ જાણીને હું ખૂબ ખુશ થઇ હતી, હું પ્રથમ વાર તેમને મળવા જઇ રહી હતી.
મેં વિચાર્યું નહોતું કે મહારાજ આ પ્રકારના વ્યક્તિ હશે
હું એમના ખંડમાં પહોંચી ત્યારે મેં જોયું કે, મહારાજના હાથમાં રિમોટ છે અને તેઓ ટીવી પર એડલ્ટ ફિલ્મ જોઇ રહ્યાં છે. તેમના પલંગની બાજુમાં જ એક રિવોલ્વર પણ પડી હતી. એ જોઇને હું ગભરાઇ ગઇ. મેં ક્યારેય વિચાર્યું નહોતું કે, મહારાજ આ પ્રકારના વ્યક્તિ હશે. તેમણે ટીવી બંધ કરી મને પોતાની બાજુમાં બેસાડી. તેમણે મને કહ્યું કે, તેઓ મને પોતાની ખૂબ નજીક સમજે છે આથી મને બોલાવી છે. તેમણે મને કહ્યું કે, તેઓ મને ખૂબ પ્રેમ કરે છે અને મારી સાથે સંબંધ બનાવવા માંગે છે. સાથે જ એવું પણ કહ્યું કે, હું જ્યારે એમની શિષ્યા બની ત્યારે મેં મારું તન, મન, ધન અને આત્મા તેમને સમર્પિત કર્યો હતો, જે તેમણે સ્વીકાર્યો હતો.
શું ભગવાન કોઇ દિવસ આવા કામ કરે?
જ્યારે મેં તેમની વાતનો વિરોધ કર્યો તો તેમણે કહ્યું કે, એમાં કોઇ શંકા નથી કે હું ભગવાન છું. જ્યારે મેં કહ્યું કે, શું ભગવાન કોઇ દિવસ આવા કામ કરે? તો મહારાજ ઘણા ગુસ્સે થયા હતા. તેમણે મને કહ્યું કે, 'શ્રી કૃષ્ણ પણ ભગવાન હતા અને તેમણે 360 ગોપીઓ સાથે પ્રેમ લીલા કરી હતી. આમ છતાં, લોકો તેમને ભગવાન ગણે છે. માટે આમાં નવાઇ પામવા જેવું કશું નથી. હું તને અત્યારે જ આ બંદૂકથી મારી નાંખી શકું છું. તારા પરિવારને મારામાં આંધળો વિશ્વાસ છે અને એ લોકો ક્યારેય મારી વિરુદ્ધમાં નહીં જાય, એ તુ પણ જાણે છે. સરકારમાં પણ મારી સારી એવી ઓળખાણ છે. પંજાબ અને હરિયાણાના મુખ્યમંત્રી અને કેન્દ્રિય મંત્રી મારી મુલાકાત લેતા હોય છે. રાજકારણીઓ અમારી મદદ લે છે. તેઓ અમારી વિરુદ્ધ કોઇ પગલાં નહીં લઇ શકે.'
3 વર્ષથી યૌન શોષણ થઇ રહ્યું છે
'હું તારા પરિવારના સભ્યોને નોકરીમાંથી કઢાવી શકું છે, મારા સેવાદારો દ્વારા તેમની હત્યા પણ કરાવી શકું છું. અમે હત્યાના કોઇ પુરાવા છોડતા નથી. પહેલા પણ અમે ડેરાના મેનેજર ફકીર ચંદની હત્યા કરાવી હતી અને આજ સુધી કોઇને ખબર નથી પડી કે તેનું મૃત્યુ કેવી રીતે થયું. ડેરાની દૈનિક આવક 1 કરોડ છે, જેના દ્વારા અમે નેતાઓ, પોલીસ અને જજને પણ ખરીદી શકીએ છીએ.' એ પછી મહારાજે મારો બળાત્કાર કર્યો હતો. છેલ્લા ત્રણ વર્ષથી મહારાજ મારું યૌન શોષણ કરી રહ્યાં છે, દર 20-25 દિવસે મારો વારો આવે છે.
ડેરામાં રહેવા સિવાય કોઇ વિકલ્પ નહીં
હવે મને ખબર પડી છે, મહારાજ મારા પહેલાં પણ આ રીતે અનેક યુવતીઓનો બળાત્કાર કરી ચૂક્યા છે. એમાંની મોટા ભાગની મહિલાઓની ઉંમર હાલ 35 થી 40 વર્ષની છે, તેમની લગ્નની ઉંમર જતી રહી છે અને હવે તેમની પાસે ડેરામાં રહેવા સિવાય કોઇ વિકલ્પ નથી. મોટા ભાગની મહિલાઓ અને યુવતીઓ બીએ, એમએ, બીએડ જેવી ડિગ્રીઓ ધરાવે છે અને આમ છતાં ડેરામાં નરક જેવી જિંદગી વિતાવે છે; માત્ર એટલા માટે કે તેમના પરિવારને મહારાજમાં આંધળો વિશ્વાસ છે.
પરિવારજનોનો આંધળો વિશ્વાસ
અમે અહીં સફેદ વસ્ત્રો પહેરીએ છીએ, માથે સ્કાર્ફ બાંધીએ છીએ, કોઇ પુરૂષ તરફ જોતા પણ નથી અને મહારાજના આદેશાનુસાર પુરૂષ સાથે 5થી 10 ફુટનું અંતર રાખીને વાત કરીએ છીએ. બહારના લોકો અમને દેવીની નજરે જુએ છે, પરંતુ અહીં અમે વેશ્યા જેવું જીવન વીતાવી રહ્યાં છીએ. આ વખતે મેં મારા પરિવારને ડેરામાં ચાલતી કરતૂતનો પરિચય આપવાનો પ્રયત્ન કર્યો હતો, પરંતુ તેમણે મને એમ કહી ચૂપ કરી દીધી કે ડેરાથી સારી જગ્યા બીજી કોઇ હોઇ જ ન શકે. કારણ કે અમે અહીં ભગવાન(મહારાજ)ની સંગતમાં છીએ. મારા પરિવારજનોએ મને એમ પણ કહ્યું કે, મેં મારા મનમાં ડેરા અંગે ખોટો અભિપ્રાય બાંધી લીધો છે અને મારે 'સતગુરૂ'ના નામના જાપ કરવા જોઇએ.
મહારાજ અને બદનામીનો ડર
અહીં સાધ્વીઓને કે યુવતીઓને એકબીજા સાથે વાત કરવાની છૂટ નથી. યુવતીઓને પોતાના પરિવાર સાથે ફોન પર વાત કરવાની પણ છૂટ નથી. જો ડેરા અંગેની સાચી જાણકારી કોઇ યુવતી બાહર પાડે, તો તેને મહારાજના આદેશ અનુસાર સજા આપવામાં આવે છે. થોડા સમય પહેલાં, એક ભટિંડાની યુવતીએ મહારાજની કરતૂતો અંગે જાણકારી બહાર પાડી હતી, જેની સજારૂપે તમામ મહિલા શિષ્યાઓએ મળીને તેને ખૂબ માર માર્યો હતો. આ કારણે તેને બેકબોનમાં ફ્રેક્ચર થઇ જતાં હાલ તે પથારીવશ છે. તેના પિતાએ ડેરાની નોકરી છોડી દીધી છે અને ઘરે જતા રહ્યાં છે. મહારાજ અને બદનામીના ડરથી એ લોકો બહાર કશું પણ બોલતા ડરે છે. જ્યારે સંગરૂરની એક યુવતી ડેરા છોડી પોતાના ઘરે ગઇ અને તેણે લોકોને સાચી વાત જણાવી તો ડેરાના સેવાદારો હથિયાર સાથે તેના ઘરે પહોંચ્યા હતા. તેમણે યુવતીને ધમકી આપી હતી કે, જો તે ડેરા અંગેની કોઇપણ જાણકારી બહાર પાડશે તો તેને મારી નાંખવામાં આવશે.
મહારાજે જીવન વેર-વિખેર કરી નાંખ્યું છે
આવી ઘણી યુવતીઓ છે, જે ડેરા છોડી ચૂકી છે પરંતુ એટલી ડરેલી છે કે કંઇ જ બોલવા તૈયાર નથી. જો હું મારું નામ કહીશ, તો મને અને મારા પરિવારને પણ મારી નાંખવામાં આવશે. સામાન્ય માણસોના ભલા માટે હું ઇચ્છું છું કે, ડેરા અને મહારાજ અંગેની હકીકત બહાર આવે. જો કોઇ સરકારી એજન્સિ દ્વારા તપાસ કરવામાં આવે તો ડેરામાં રહેતી 40થી 50 યુવતીઓ સાચી વાત કહેવા સામે આવશે. તબીબી સારવાર થકી પણ જાણી શકાશે કે, અહીં સાધ્વી તરીકે રહી રહેલ યુવતીઓ બ્રહ્મચર્યનું પાલન કરી રહી છે કે નહીં. જો અમારું કૌમાર્ય જળવાયું નથી, તો અમારી શુદ્ધિ ભંગ કરનાર કોણ છે એની તપાસ થવી જોઇએ. ત્યારે સત્ય સામે આવશે કે, સચ્ચા સૌદાના મહારાજ ગુરમીત સિંહે અમારું જીવન વેરવિખેર કરી નાંખ્યું છે.