ગુરુગ્રામ હત્યાકાંડમાં મોટો ખુલાસો, આ કારણે ગનમેને જજની પત્ની અને દીકરાને ગોળી મારી
આ કારણે ગનમેન મહિપાલે જજની પત્ની અને દીકરાની હત્યા કરી
ગુરુગ્રામઃ હરિયાણાના ગુરુગ્રામમાં ગનમેન મહિપાલે જાહેરમાં એડિશનલ સેશન અને ડિસ્ટ્રિક્ટ જજ કૃષ્ણકાંત શર્માની પત્ની અે દીકરાને ગોળી મારી દીધી હતી. SITની તપાસમાં સામે આવ્યું કે મહિપાલે આખરે દોઢ વર્ષથી જેની રક્ષા કરતો હતો તેને જ ગોળી કેમ મારી. એસઆઈટી મુજબ મહિપાલને જજના પરિવારથી કંઈ વાંધો ન હતો અને તે તેમનાથી નારાજ પણ નહોતો. વધુમાં એ પણ સ્પષ્ટ થઈ ગયું છે કે હત્યાકાંડ પાછળ ધર્મ પરિવર્તનને કોઈ લેવા-દેવા નથી.
હત્યાનું કોઈ પ્લાનિંગ નહોતું
બુધવારે ડીસીપી ક્રાઈમ સુમિતે પ્રેસ કોન્ફરેન્સ કરીને જણાવ્યું કે આ ઘટના ત્વરિત ગુસ્સામાં થઈ છે. મહિપાલે પહેલેથી હત્યાનું પ્લાનિંગ નહોતું બનાવ્યું. તે છેલ્લા દોઢ વર્ષથી જજના પરિવારની સુરક્ષાની જવાબદારી સંભાળતો આવ્યો હતો. એસઆઈટી ટીમની પૂછપરછમાં મહિપાલે જણાવ્યું કે ઘટનાના દિવસે તે જજની પત્ની અને દીકરાને માર્કેટમાં મૂકીને ક્યાંક ચાલ્યો હતો હતો. બીજી બાજુ ખરીદી કર્યા બાદ જજનો પરિવાર કેટલીય વાર સુધી મહિપાલની તલાશ કરી રહ્યો હતો, પરંતુ તે ન મળ્યો. લાંબા સમય બાદ મહિપાલ પાછો આવ્યો. જેથી મહિપાલને જજના પત્ની અને દીકરો જાહેરમાં જ ખીજાયા હતા. આ દરમિયાન જ ગુસ્સામાં આવીને તેણે જજની પત્ની રિતુ અને દીકરા ધ્રુવને ગોળી મારી દીધી હતી.
જજના દીકરાએ મહિપાલ સાથે દુર્વ્યવહાર કર્યો
પોલીસ મુજબ પૂછપરછમાં એ વાત સામે આવી કે મહિપાલ મોડો પહોંચતા જજના દીકરા ધ્રુવે મહિપાલ સાથે દુર્વ્યવહાર કર્યો હતો. ધ્રુવે જાહેરમાં જ મહિપાલને તમાચો માર્યો હોવાનું પણ કહેવાય રહ્યું છે. જેને પરિણામસ્વરૂપ મહિપાલે આ ઘટનાને અંજામ આપ્યો હતો. ડીસીપીએ જણાવ્યું કે પૂછપરછમાં મહિપાલે જજના પરિવાર દ્વારા પરેશાન કરવામાં આવતો હોવાની વાતથી પણ ઈનકાર કર્યો છે. મહિપાલે જણાવ્યું કે જજનો પરિવાર બહુ સારો હતો. એને ખુદ નથી સમજાઈ રહ્યું કે એ દિવસે તે કઈ રીતે બેકાબૂ થઈ ગયો. મહિપાલે પહેલેથી મર્ડરનો કોઈ પ્લાન નહોતો બનાવ્યો.
ધર્મ પરિવર્તનની વાત ખોટી
પોલીસે જણાવ્યું કે આ હત્યાકાંડમાં ધર્મ પરિવર્તનનો કોઈપણ મામલો સામે આવ્યો નથી. પોલીસે દાવો કર્યો છે કે પૂછપરછમાં મહિપાલ દ્વારા ધર્મ પરિવર્તન કરવાની પુષ્ટિ થઈ નથી. જણાવી દઈએ કે પહેલા એવી ચર્ચા થઈ રહી હતી કે મહિપાલ જજની પત્ની પર ઈસાઈ ધર્મ અપનાવવા માટે દબાણ કરી રહ્યો હતો.
|
જજે કહ્યું ઘરના સભ્ય જેવો હતો મહિપાલ
પોલીસે જણાવ્યું કે ઘટના બાદ પૂછપરછમાં જજે પણ સ્વીકાર્યું કે એમણે કે એમના પરિવારે મહિપાલને ક્યારેય દુઃખી નહોતો કર્યો. એને ક્યારેય હેરાન કરવામાં આવતો નહોતો. તે ઘરના સભ્ય જેવો જ હતો. આખા પરિવારને તેના પર ભરોસો હતો. એને એ વાતનો પણ ખ્યાલ નહોતો કે મહિપાલ આટલો ગુસ્સેલ હતો. પોલીસે પણ જણાવ્યું કે ધરપકડ બાદ મહિપાલે પ્રાથમિક તપાસમાં જ ગુનો કબુલી લીધો હતો.
શું બન્યું હતું?
ઘટના ગત શનિવાર બપોરના 3:30 વાગ્યાની છે જ્યારે જજ શ્રીકાંત શર્માની પત્ની અને દીકરો શોપિંગ કરવા માટે ગુરુગ્રામના સેક્ટર 51 બજારમાં ગયા હતા. એમની સાથે હેડ કોન્સ્ટેબલ મહિપાલ (32) પણ હતો. ગાડીમાંથી જેવા બહાર નીકળ્યા કે મહિપાલે સૌથી પહેલા જજની પત્નીને ગોળી મારી અને બાદમાં જજના દીકરાને પણ રિવેલ્વરથી ગોળી ધરબી દીધી હતી.