2027 સુધીમાં મોટા શહેરોમાં ડીઝલ વાહનો પર પ્રતિબંધ લગાવવા ભલામણ, જાણો શું કહ્યું કમિટીએ?
ભારત સહિત દુનિયાભરમાં વધી રહેલા પ્રદુષણને નીપટવા માટે હવે વિવિધ દેશોએ મોટા પાયે ઈલેક્ટ્રીક વાહનો પર ભાર મુકવાનું શરૂ કર્યુ છે. ભારત પણ આમાંથી બાકાત નથી, હવે ભારતે આ પણ દિશામાં વિચારવાનું શરૂ કર્યુ છે.
સમાચારો પર વિશ્વાસ કરીએ તો આગામી દિવસોમાં ભારતના મોટા શહેરોમાં ડીઝલ વાહનો પર પ્રતિબંધ મુકાઈ શકે છે. હાલમાં જ પેટ્રોલિયમ મંત્રાલયની એનર્જી ટ્રાન્ઝિશન એડવાઇઝરી કમિટીએ તેના અંતિમ રિપોર્ટમાં કેન્દ્ર સરકારને 10 લાખથી વધુ વસ્તી ધરાવતા શહેરોમાં 2027 સુધીમાં ડીઝલથી ચાલતી કાર પર પ્રતિબંધ મૂકવાની ભલામણ કરી છે.

રિપોર્ટ 2024થી માત્ર ઈલેક્ટ્રિક વાહનોની નોંધણી પર ભાર મૂકવા કહેવાયુ છે. આનાથી આગામી 10 વર્ષમાં 10 લાખથી વધુ વસ્તી ધરાવતાં શહેરોમાં 75 ટકા વાહનો ઇલેક્ટ્રિક વાહનો જોવા મળશે.
આ કમિટીએ 2035 સુધી રાષ્ટ્રીય ઊર્જા બાસ્કેટમાં ગ્રીડ પાવરનો હિસ્સો બમણો કરીને 40 ટકા કરવાની ભલામણ પણ કરી છે. કમિટીએ પેટ્રોલિયમ, કોલસો, પાવર અને રિન્યુએબલ એનર્જી સંબંધિત મંત્રાલયો ધરાવતા મંત્રીઓના એક જૂથની રચના કરવા પણ સૂચન કર્યુ છે.
આ સિવાય આ સાથે સચિવોની એક સમિતિ બનાવવા માટે પણ કમિટીએ ભલામણ કરી છે. આમાં ઊર્જા વપરાશ પર દેખરેખ રાખતા મંત્રાલયોના સભ્યોને પણ સામેલ કરવાની વાત કરી છે.
પૂર્વ પેટ્રોલિયમ સચિવ તરુણ કપૂરની અધ્યક્ષતામાં ઊર્જા ટ્રાંજીશન સલાહકાર સમિતિની રચના કરાઈ હતી. આ કમિટીમાં સરકારી તેલ કંપનીઓ અને પેટ્રોલિયમ મંત્રાલયના અધિકારીઓ પણ હતા.
તરુણ કપૂર વડાપ્રધાનના સલાહકાર બન્યા ત્યારે ONGCના પૂર્વ અધ્યક્ષ સુભાષ કુમારને સમિતિના અધ્યક્ષ બનાવવામાં આવ્યા હતા અને તેમની અધ્યક્ષતામાં સમિતિએ અહેવાલ તૈયાર કરીને પેટ્રોલિયમ મંત્રાલયને સુપરત કર્યો છે.












Click it and Unblock the Notifications
