GSTમાં સરકારે કર્યું પરિવર્તન, શ્રેય મળ્યો રાહુલ ગાંધીને!
જીએસટી કાઉન્સિલની બે દિવસીય બેઠક બાદ જીએસટીના દરોમાં મોટા પરિવર્તન થયા છે. કોંગ્રેસ આનો શ્રેય રાહુલ ગાંધીને આપી રહી છે.
લગભગ ચાર મહિના પહેલા કેન્દ્ર સરકારે જીએસટી લાગુ કર્યો હતો, પરંતુ તેમાં પરિવર્તનની પ્રક્રિયા હજુ પણ ચાલુ જ છે. જીએસટીના દરમાં સરકારે હાલમાં જ ઘણા પરિવર્તનો કર્યા છે, જેથી સામાન્ય માણસની તકલીફ ઓછી થઇ છે અને નાના વેપારીઓને પણ રાહત મળી છે. પરંતુ આ મુદ્દે રાજકારણીય વાતાવરણ હજુ પણ ગરમ છે. ચાર મહિના બાદ થયેલ આ પરિવર્તનનો શ્રેય કોંગ્રેસ રાહુલ ગાંધીને આપી રહી છે. કોંગ્રેસનું કહેવું છે કે, કેન્દ્ર સરકાર પર રાહુલ ગાંધીના સતત દબાણને પરિણામે આ પરિવર્તનો થયા છે.
પી.ચિદમ્બરમ: 'આભાર ગુજરાત!'
કોંગ્રેસનું કહેવું છે કે, ભાજપને ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં હારવાનો ડર છે. રાહુલ ગાંધી પણ સતત સરકાર પર આ મામલે પ્રહારો કરી રહ્યા હતા અને આ કારણે હવે સરકાર જીએસટીમાં પરિવર્તન કરી રહી છે. ભાજપ પર હુમલો કરતાં કોંગ્રેસના વરિષ્ઠ નેતા પી ચિદમ્બરમે ટ્વીટ કર્યું હતું. તેમણે લખ્યું હતું, આભાર ગુજરાત. તમારી ચૂંટણીએ એ કરી દીધું, જે સંસદ અને કોમન સેન્સ ન કરી શક્યા. તો સામે કેન્દ્ર સરકાર તરફથી કહેવાઇ રહ્યું છે કે, જીએસટી એકાએક લાગુ કરવામાં આવેલ નિયમ નથી. તેની ઉપર છેલ્લા 10 વર્ષથી ચર્ચા ચાલી રહી હતી અને એ પછી જ તેને લાગુ કરવામાં આવ્યો છે.
ગબ્બર સિંહ ટેક્સ
ઉલ્લેખનીય છે કે, રાહુલ ગાંધી તથા કોંગ્રેસ તરફથી જીએસટીના નિર્ણય અંગે સરકાર પર અનેક પ્રહારો કરવામાં આવ્યા છે. ગુજરાતમાં પોતાના ભાષણોમાં રાહુલ ગાંધી અનેકવાર કહી ચૂક્યાં છે કે, સરકારે વધારે વિચાર્યા વિના અડધી રાત્રે જીએસટી લાગુ કરી દીધો હતો, જ્યારે અમે તેમને આમ કરતા રોક્યા હતા. તેમણે કહ્યું હતું કે, જીએસટીનો અર્થ છે, એક દેશ એક ટેક્સ. મોદી સરકારે જીએસટીના નામે ગબ્બર સિંહ ટેક્સ લાગુ કર્યો છે, જીએસટીમાં માળખાગત સુધારાની જરૂર છે. અમને 5 અલગ-અલગ ટેક્સ સ્લેબ નથી જોઇતા, માત્ર એક સ્લેબ જોઇએ છે.