બિહાર:ઉદ્ઘાટન પહેલાં તૂટ્યો ડેમ,લાલુ પ્રસાદે કર્યા આકરા પ્રહારો
ઉદ્ઘાટનના એક દિવસ પહેલાં તૂટી ગયો બિહારનો રૂ.389 કરોડના ખર્ચે બનેલો બંધ, લાલુ પ્રસાદ યાદવે નીતીશ સરકાર પર કર્યા પ્રહારો.
બિહારના ભાગલપુરમાં 389 કરોડના ખર્ચે બનેલો બંધ ઉદ્ઘાટનના એક દિવસ પહેલા જ મંગળવારે અચાનક તૂટી પડ્યો હતો. આ બંધ તૂટવાને કારણે અનેક વિસ્તારોમાં ગંગા નદીનું પાણી ફરી વળ્યું હતું અને આ કારણે પૂર જેવો નજારો જોવા મળે હતો. આ બંધ ગંગા પંપ નહેર યોજના હેઠળ તૈયાર કરવામાં આવ્યો હતો. બંધ તૂટવાની જાણકારી મળતાં જ જિલ્લાના તમામ મુખ્ય અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચ્યા હતા અને એસડીઆરએફ ટીમ તુરંત રાહત-બચાવની કામગીરીમાં લાગી હતી. મુખ્યમંત્રી નીતીશ કુમાર બુધવારના રોજ બંધનું ઉદ્ઘાટન કરનાર હતા.

બિહાર અને ઝારખંડની સંયુક્ત નહેર યોજના 40 વર્ષ બાદ પૂર્ણ થઇ હતી, જે એનટીપીસી મુરકટિયા પાસે મંગળવારે તૂટી પડી હતી. હાલ મુખ્યમંત્રી નીતીશ કુમારનો અહીંનો કાર્યક્રમ રદ્દ કરવામાં આવ્યો છે. પ્રદેશના જળ સંસાધન મંત્રી લલન સિંહે આ આખા મામલે સ્પષ્ટતા આપતાં કહ્યું કે, આ યોજના 1977ની હતી, નહેરનું નિર્માણ 1985-86થી શરૂ થયુ હતું, 1985માં બનેલ નહેરનું 32 વર્ષ બાદ ઉદ્ઘાટન થનાર હતું. અમારાથી માત્ર એટલી ચૂક થઇ કે અમે નહેરની બરાબર ચકાસણી ન કરી. નહેર બન્યા બાદ એનટીપીસી એ સુરંગ ખોદી અંડર પાસ કર્યું, જેને કારણે નહેર નબળી પડી. આ મામલાની તપાસ થઇ રહી છે અને દોષિતો પર કડક કાર્યવાહી કરવામાં આવશે.
આ મામલે રાજદ સુપ્રીમો લાલુ પ્રસાદ યાદવે નીતીશ સરકાર પર આકરા પ્રહારો કર્યા હતા. એક સ્થાનિક ન્યૂઝ ચેનલ સાથેની વાતચીતમાં લાલુ પ્રસાદ યાદવે કહ્યું કે, બંધ હતો કે પતાશું, કે પાણી આવતા વેંત જ ઓગળી ગયું! પહેલા પૂરમાં બંધ તૂટ્યો ત્યાર નીતીશ સરકારે ઉંદરો પર દોષ મઢ્યો હતો, હવે શું કોઇ ઘડિયાળે બંધ તોડી પાડ્યો. તેમણે આગળ કહ્યું કે, ના તો બંધનું સમારકામ સરખી રીતે કરવામાં આવ્યું હતું, ના તો તેનું નિર્માણ કામ સરખી રીતે થયું હતું. તેમણે આ સમગ્ર મામલે સંબંધિત મંત્રી પર કાર્યવાહીની માંગ પણ કરી છે.












Click it and Unblock the Notifications
