કેરળ: RSS કાર્યકર્તાની હત્યા સામે BJPનું વિરોધ પ્રદર્શન
કેરળમાં આરએસએસ કાર્યકર્તા પર હુમલો, કાર્યકર્તાનું મૃત્યુ
કેરળના તિરુવનંતપુરમમાં એક આરએસએસ કાર્યકર્તાની હત્યા કરવામાં આવી છે. શનિવારે થયેલ આ હુમલામાં આરએસએસ દ્વારા સીપીએમના કાર્યકર્તાઓ પર હત્યાનો આરોપ મુકવામાં આવ્યો છે. આરએસએસ કાર્યકર્તા રાજેશ ઇડાવાકોડે પર ચપ્પુ વડે હુમલો કરવામાં આવ્યો હતો, તેઓ ગંભીર રીતે ઘાયલ થયા હતા અને હોસ્પિટલમાં સારવાર દરમિયાન તેમનું મૃત્યુ થયું હતું. કેરળના ભાજપ યુનિટના ચીફ કુમ્માનમ રાજેશકરને જણાવ્યું કે, સીપીએમના કાર્યકર્તાઓએ આ હુમલો કર્યો છે, આરએસએસ સાથે જોડાયેલ અન્ય એક વ્યક્તિ પર પણ હુમલો થયો છે. તેમણે આગળ જણાવ્યું કે, આ પ્રકારની રાજકારણીય હત્યાઓનો કેરળમાં એક ખતરનાક ટ્રેન્ડ ચાલી નીકળ્યો છે.
નોંધનીય છે કે, તિરુવનંતપુરમનો આ કોઇ પહેલો મામલો નથી. સીપીએમ અને આરએસએસ વચ્ચે અથડામણની ખબરો સતત આવતી રહે છે. રાજેશ પર શનિવારે હુમલો થયો ત્યારે તેઓ આરએસએસની શાખાથી પરત ફરી રહ્યા હતા. હુમલા બાદ ઇજાગ્રસ્ત હાલતમાં તેમને તિરુવનંતપુરમ મેડિકલ કૉલેજ લઇ જવામાં આવ્યા હતા, જ્યાંથી ડૉક્ટરોએ તેમને એક પ્રાઇવેટ હોસ્પિટલમાં જવા કહ્યું. હોસ્પિટલમાં સારવાર દરમિયાન જ તેમનું મૃત્યુ થયું હતું. ભાજપના પ્રદેશ અધ્યક્ષ કે.રાજશેખરને આરોપ મુક્યો છે કે, આ હુમલા પાછળ માકપાનો હાથ છે. ન્યૂઝ એજન્સિ એએનઆઇ અનુસાર ભાજપે આ હત્યાના વિરોધમાં રવિવારે સંપૂર્ણ કેરળમાં બંધનું આહ્વાન કર્યું છે.