પૂરી થઇ પ્રક્રિયાઓ, આવતીકાલનો દિવસ હોઇ શકે છે સચિન માટે ખાસ
બૈતૂલ, 3 ફેબ્રુઆરી: પૂર્વ ભારતીય ક્રિકેટર અને ક્રિકેટના ભગવાન કહેવાતા સચિન તેંડુલકરે આમ તો જીવનમાં એવી ઘણી પળો જોઇ હશે જે તેમના માટે ખાસ રહી હશે. પરંતુ કાલે 4 ફેબ્રુઆરીનો દિવસ લગભગ તેમના જીવનનો સૌથી ખાસ દિવસ સાબિત થશે. તમામ અડચણો અને પ્રયાસોની વચ્ચે આખરે તેમને ભારત રત્ન એનાયત કરવાની પ્રક્રિયા પૂર્ણ થઇ ગઇ છે અને હવે આવતીકાલે દેશના આ સર્વોચ્ચ નાગરિકનું સન્માન મેળવીને સચિન તેંડુલકર ઔપચારિક રીતે ભારત રત્ન સચિન તેંડુલકર બની જશે.
સચિન તેંડુલકરને દેશના સર્વોચ્ચ નાગરિકનું સન્માન ભારત રત્નથી નવાજવાની પ્રક્રિયા 14 નવેમ્બરના રોજ તેમની વિદાઇ ટેસ્ટના પહેલા દિવસે શરૂ થઇ હતી અને બે દિવસ બાદ આની જાહેરાત કરવામાં આવી હતી. માહિતી અધિકાર કાનૂન (આરટીઆઇ) અંતર્ગત મળેલા જવાબમાં આ ખુલાશો થયો છે. કેન્સર સામે લડી રહેલા રમત પ્રેમી આરટીઆઇ કાર્યકર્તા હેમંત દૂબેએ આ સૂચના માગી હતી.
આની પર કાર્યવાહી કરતા રમત મંત્રાલયે એ જ દિવસે સાંજે 5 વાગીને 22 મિનિટે માત્ર ચાર કલાકની અંદર પીએમઓને તેંડુલકરનો બાયોડેટા મોકલી દીધો. 15 નવેમ્બરના રોજ વડાપ્રધાન મનમોહન સિંહે તમામ ઔપચારિકતાઓ પૂરી કરીને તેંડુલકરને ભારત રત્નથી સન્માનિત કરવા સંબંધિત પ્રસ્તાવ રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જીની મંજૂરી માટે મોકલ્યુ અને રાષ્ટ્રપતિની મંજૂરી મળતા જ 16 નવેમ્બરના રોજ 24 કલાક બાદ આ અંગેની જાહેરાત કરી દેવામાં આવી.
ત્યારબાદ વડાપ્રધાને તેંડુલકરને ભારત રત્નથી સન્માનિત કરવાની સૂચના આપતા 17 નવેમ્બરના રોજ તેમને એક પત્ર મોકલવામાં આવ્યો, તેંડુલકરને હવે ચાર ફેબ્રુઆરીના રોજ દિલ્હીમાં આ સન્માનથી નવાજમાં આવશે.