સંજય દત્તે સુપ્રીમ કોર્ટ પાસે સરેન્ડર થવા વધારે સમય માંગ્યો
નવી દિલ્હી, 15 એપ્રિલ : અદાલતમાં આત્મસમર્પણ કરવાની તારીખ નજીક આવતા જ બોલીવુડ અભિનેતા સંજય દત્તે સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરી આત્મસમર્પણ માટે વધારે સમય આપવાની માંગ કરી છે.
હાઇ કોર્ટે 21 માર્ચના રોજ શસ્ત્ર કાયદા હેઠળ દત્તને દોષિત ગણવા અંગે પોતાનું સમર્થન આપ્યું હતું સાથે તેને પાંચ વર્ષની જેલની સજા સંભળાવી હતી. જેમાં તેઓ 18 મહિનાની સજા પહેલા જ ભોગવી ચૂક્યા છે. ચાર સપ્તાહમાં સમર્પણ કરવાના આદેશ અનુસાર સંજય દત્તે 18 એપ્રિલે દિલ્હી ખાતેની વિશેષ ટાડા અદાલતમાં આત્મસમર્પણ કરવું જરૂરી છે.
દત્તને માફ કરી દેવાની વધતી માંગ વચ્ચે 53 વર્ષીય અભિનેતાએ 28 માર્ચે મીડિયાને જણાવ્યું હતું કે તેઓ માફી માટે અરજી નહીં કરે. તે દિવસે મીડિયા સાથેની વાતચીતમાં દત્ત ભાવુક બનીને રડી પડ્યા હતા.
રાજ્યપાલ કે શંકરનારાયણે દત્તને માટે ક્ષમા દાન અને તેમને માફી નહીં આપવા બંને મુદ્દે લોકો તરફથી મળેલી 60થી વધારે અરજીઓને આ મહિનાના પ્રારંભમાં જ રાજ્યના ગૃહ વિભાગને મોકલી આપી હતી. આ અરજીઓમાં પ્રેસ પરિષદના અધ્યક્ષ માર્કન્ડેય કાત્જુ અને પૂર્વ સપા નેતા અમરસિંહનો પણ સમાવેશ થાય છે.