ગુજરાતમાં માત્ર નફરતનું રાજકારણ : શ્વેતા ભટ્ટ
અમદાવાદ, 16 નવેમ્બર : ગુજરાતમાં લોકશાહી નથી, પણ છેલ્લા 10 વરસથી માત્ર નફરતનું રાજકારણ થઈ રહ્યું છે. રાજ્યમાં એક અધિકારી બીજા સાથે સંપર્ક નથી સાધી શકતો. સૌના ફોન ટેપ કરવામાં આવી રહ્યાં છે.

આમ કહેવું છે ગુજરાતનાં મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી વિરુદ્ધ અવાજ ઉઠાવનાર આઈપીએસ અધિકારી સંજીવ ભટ્ટના પત્ની શ્વેતા ભટ્ટનું. તેમણે એમ પણ જણાવ્યું કે આપણાં સૌની જવાબદારી બને છે કે રાજ્યનો માહોલ ભયમુક્ત બનાવીએ. એવી અટકળો લગાવાઈ રહી છે કે શ્વેતા મુખ્યમંત્રી વિરુદ્ધ કોંગ્રેસ પક્ષ તરફથી ચુંટણી લડી શકે છે.
કસ્ટડીમાં મોતના વીસ વરસ જૂના કેસનો સામનો કરી રહેલ સંજીવ ભટ્ટના પત્ની શ્વેતાએ મોદી વિરુદ્ધ ખુલ્લેઆમ બોલતાં જણાવ્યું કે ગુજરાત માત્ર એક વ્યક્તિની જાગીર નથી. તેમણે એમ પણ આરોપ લગાવ્યો કે તેમના ઘરની જાસૂસી કરવામાં આવી રહી છે અને ઘરે આવનાર દરેક વ્યક્તિ ઉપર નજર રાખવામાં આવી રહી છે. ગત વર્ષે નકલી શપથ પત્ર કેસમાં ધરપકડ કરાયેલ પોતાના પતિ સંજીવના ટેકમાં તેઓ ખુલેઆમ સામે આવ્યા હતાં. પોતાના પતિની ધરપકડ વખતે તેમણે ભય વ્યક્ત કર્યો હતો કે કસ્ટડીમાં તેમની હત્યા પણ કરવામાં આવી શકે છે. તેમણે આ અંગે કેન્દ્રીય ગૃહ મંત્રીને પત્ર પણ લખ્યો હતો.
શ્વેતા ભટ્ટે આ નિવેદન એક બિન સરકારી સંસ્થાના કાર્યક્રમ દરમિયાન આપ્યું. એવું મનાય છે કે શ્વેતા રાજકારણમાં ઉતરી શકે છે. કાર્યક્રમ દરમિયાન તેમણે મોદીના કાર્યકાળની ખૂબ નિંદા કરી અને મોદી દ્વારા અધિકારીઓ ઉપર દબાણ નાંખવાના આરોપ લગાવ્યાં.












Click it and Unblock the Notifications
