સરબજીતના પરિવારે વડાપ્રધાનનું રાજીનામુ માંગ્યું
સરબજીત સિંહની બહેન દલબીર કૌરે અટારી સરહદ ખાતે પત્રકારોને જણાવ્યું કે મને એ વતની શરમ આવી રહી છે કે તેમના જીવને જોખમ હોવા છતાં, આપણો દેશ તેમને બચાવવામાં નિષ્ફળ રહ્યો છે. આમ થવાથી સરકારની અયોગ્યતા બહાર આવી છે. આ કારણે મનમોહન સિંહે રાજીનામુ આપી દેવું જોઇએ.
દલબીર કૌર ઉપરાંત સરબજીત સિંહના પત્ની સુખપ્રીત કૌર અને દીકરીઓ સ્વપ્નદીપ તથા પૂનમ અટારી-વાઘા આંતરરાષ્ટ્રીય સીમા દ્વારા બુધવાર 1 મેના રોજ સવારે 11.30 વાગે ભારત પરત ફર્યા હતા. તેમને સુરક્ષા વ્યવસ્થાની વચ્ચે અટારી સ્થિત સીમા સુરક્ષા દળ (બીએસએફ)ના બ્રીફિંક કક્ષમાં લઇ જવામાં આવ્યા હતા.
દલબીર કૌરે જણાવ્યું કે "જ્યાં સુધી ભારત સરકાર તેમને બચાવવા માટે કોઇ નક્કર પગલાં ઉઠાવતા નથી, ત્યાં સુધી તેઓ ઉપવાસ કરશે. તેમણે અફઝલ ગુરુ અને અજમલ કસાબને આપેલી ફાંસીનો હવાલો આપતા જણાવ્યું કે મને લાગે છે કે ભારત અને પાકિસ્તાનની સરકાર ષડયંત્ર કરી રહી છે. આપણે કસાબ અને અફઝલને ફાંસી આપી, આથી તેમણે સરબજીત પર હુમલો કર્યો."
પરિવારે જણાવ્યું કે અમને સરબજીતના સ્વાસ્થ્ય અને તેમની સ્થિતિ અંગે અમને અંધારામાં રાખ્યા તેનો વાંધો છે. અમે બુધવારે સાંજે જ દિલ્હી જઇને વડાપ્રધાન, સોનિયા ગાંધી અને સલમાન ખુર્શીદને મળીને સરબજીતને બચાવવાની અપીલ કરીશું. અમને દુ:ખ છે કે સરકારે સરબજીતના કિસ્સામાં તાત્કાલિક પગલાં લીધા નથી. સરકારે પોતાના નાગરિકોને છોડી દીધા છે.
તેમણે પાકિસ્તાનમાં ભારતીય ચિકિત્સકો મોકલી સરબજીતનો ઇલાજ કરાવવાની ઇચ્છા પણ વ્યક્ત કરી હતી. તેમની સામે હુમલાનું મોટું ષડયંત્ર રચવામાં આવ્યું છે. અમને શંકા છે કે અમે અહીં આવી ગયા છીએ એટલે પાકિસ્તાન તેમની સાથે જરૂર કંઇક ખરાબ કરશે. એકવાર હું દિલ્હીમાં નેતાઓને મળી લઉં ત્યાર બાદ તાલિબાનિયોનું જોખમ હોવા છતાં હું પાકિસ્તાન પાછી જઇશ.