ઉત્તરાખંડમાં અથાગ બચાવકાર્ય કરવા કેન્દ્ર-રાજ્યને સુપ્રીમનો આદેશ
નવી દિલ્હી, 20 જૂન : ઉત્તરાખંડમાં છેલ્લા 72 કલાકથી વરસાદનું રૌદ્ર સ્વરૂપ જોવા મળી રહ્યું છે. આ મેઘતાંડવમાં હજારો લોકો હજી ફસાયા હોવાના સમાચાર છે જ્યારે 150થી વધારે લોકોના મોત થયા છે અને હજી આ આંકડામાં વધારો થવાની સંભાવના તોળાઇ રહી છે. આ કૂદરતી આફતને પગલે દેશની સર્વોચ્ચ અદાલતે કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારને ઉત્તરાખંડમાં પૂરના કારણે ફસાયેલા તમામ લોકોને બચાવવા અને રાહતકામગીરી કરવા માટે એડી-ચોટીનું જોર લગાવવા આદેશ કર્યો છે.
આ ઉપરાંત સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારને એવો નિર્દેશ કર્યો છે કે તેઓ બચાવને લગતી કામગીરીમાં વપરાતા સાધનો અને ચોપરની પૂરતા પ્રમાણમાં ઉપલબ્ધી કરાવવામાં આવે. કોર્ટનો નિર્દેશ છે કે લોકોને બચાવવામાં રાજ્ય સરકાર કોઇ કચાસ બાકી ના રાખે.
તેમજ સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારને 25 જૂન સુધી ઉત્તરાખંડમાં થયેલી રાહત અને બચાવ કામગીરીની બધી માહિતી આપતો એક અહેવાલ સુપરત કરવા માટે આદેશ આપ્યો છે.