Seema Haider : સરકાર સીમા હૈદરને પાકિસ્તાન પરત મોકલશે? જાણો શું કહે છે કાયદા?
Seema Haider : પાકિસ્તાનથી ભારત આવેલી સીમા હૈદર ફરી એકવાર ચર્ચામાં છે. તેની લવ સ્ટોરી અને ભારતમાં સ્થાયી થવાની ઈચ્છાએ લોકોનું ધ્યાન ખેંચ્યું છે.
હાલમાં ભારત સરકારે લીધેલા કડક નિર્ણયો ખાસ કરીને સાર્ક વિઝા છૂટ નીતિ રદ થવાને કારણે સીમા જેવા લોકોનું ભવિષ્ય અંગે ચર્ચાઓ શરૂ થઈ છે.

સીમા હૈદર મે 2023માં પોતાના ચાર બાળકો સાથે નેપાળના માર્ગે ભારત આવી હતી. તેની મુલાકાત ગ્રેટર નોઈડાના સચિન મીણા સાથે ઓનલાઈન ગેમ PUBG દ્વારા થઈ હતી. બંને વચ્ચે પ્રેમ થયો અને સીમાએ ભારત આવવાનો નિર્ણય લીધો.
ભારત આવ્યા બાદ તેમણે સચિન સાથે હિન્દુ રીતિ-રિવાજ મુજબ લગ્ન કર્યા. આજે બંનેને એક દીકરી પણ છે અને સીમા નોઈડામાં સચિન સાથે રહે છે.
હાલમાં જ ભારત સરકારે સાર્ક વિઝા છૂટ નીતિ રદ કરી છે. આ નિર્ણયનો અર્થ એ થયો કે પાકિસ્તાની નાગરિક જે આ સુવિધા હેઠળ ભારત આવ્યા હતા તેમને એક સપ્તાહમાં દેશ છોડવાનો આદેશ મળ્યો છે.
આ નિર્ણયથી સીમા હૈદરના ભવિષ્ય અંગે પણ સવાલો ઉભા થયા છે. જો કે, નિષ્ણાતોનું માનવું છે કે સીમા વિઝા દ્વારા ભારત આવી નથી પરંતુ તે નેપાળના માર્ગે ગેરકાયદેસર રીતે દેશમાં પ્રવેશી હતી. આથી આ નીતિનો તેમના પર સીધી અસર થવાની શક્યતા ઓછી છે.
નોઈડા પોલીસ અને અધિકારીઓના જણાવ્યા મુજબ, સીમા હૈદર વિરુદ્ધ હાલ કોઈ સીધો સરકારી આદેશ નથી આવ્યો. ગ્રેટર નોઈડાના એડિશનલ ડીસીપી સુધીર કુમારે જણાવ્યું કે જો કેન્દ્ર સરકાર તરફથી કોઈ નિર્દેશ મળશે તો જરૂરી કાર્યવાહી કરવામાં આવશે. ઉત્તર પ્રદેશના એટીએસની તપાસમાં પણ સીમા વિરુદ્ધ કોઈ નક્કર પુરાવા મળ્યા નથી.
સીમા હૈદરે પોતાને ભારતીય સંસ્કૃતિમાં સંપૂર્ણ રીતે ઢાળી લીધી છે. તેમણે હિન્દુ ધર્મ અપનાવ્યો છે અને પોતાને ભારતની વહુ ગણાવે છે. એક વાયરલ વીડિયોમાં સીમાએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથને ભારતમાં રહેવાની પરવાનગી આપવાની અપીલ કરી છે. તેણીએ કહ્યું કે, હું પાકિસ્તાનની દીકરી હતી, પરંતુ હવે ભારતની વહુ છું. હું અહીંથી ક્યાંય જવા નથી માંગતી.
સીમાના વકીલ એપી સિંહનું કહેવું છે કે સીમા હવે પાકિસ્તાની નાગરિક નથી. તેણે સચિન મીણા સાથે લગ્ન કર્યા છે અને એક દીકરીને જન્મ આપ્યો છે. તેમનો દાવો છે કે સીમાની નાગરિકતા હવે તેમના પતિ સાથે જોડાયેલી છે, અને સરકારે આને માન્યતા આપવી જોઈએ. તેમણે એમ પણ જણાવ્યું કે સીમા વિરુદ્ધ કોઈ કાનૂની આદેશ કે પુરાવા નથી, જેના આધારે તેમને દેશ છોડવાનું કહેવામાં આવે.
જણાવી દઈએ કે, સીમા હૈદરની કહાણી એક ઓનલાઈન ગેમથી શરૂ થઈ હતી. PUBG રમતાં રમતાં તેમની ઓળખાણ સચિન મીણા સાથે થઈ. બંને વચ્ચે પ્રેમ થયો અને સીમાએ પોતાના ચાર બાળકો સાથે ભારત આવવાનો નિર્ણય લીધો.
નેપાળના રસ્તે ભારત પહોંચેલી સીમાએ સચિન સાથે લગ્ન કર્યા, જેની ચર્ચા સોશિયલ મીડિયાથી લઈને સમાચાર ચેનલો સુધી થઈ હતી. આજે પણ તેમની કહાણી લોકોના મનમાં કુતૂહલ જગાવે છે.
સરકારના તાજા નિર્ણય બાદ સીમા હૈદરના ભવિષ્ય અંગે અનિશ્ચિતતા છે. જો કે, હાલની સ્થિતિમાં તેમની વિરુદ્ધ કોઈ સીધી કાર્યવાહીના સંકેત નથી. નિષ્ણાતોનું માનવું છે કે સીમાનો કેસ અન્ય પાકિસ્તાની નાગરિકોના કેસથી અલગ છે, કારણ કે તેનું ભારત આગમન અને લગ્નની પરિસ્થિતિ અલગ છે.












Click it and Unblock the Notifications
