અદાણી મુદ્દે શરદ પવાર આખરે વિપક્ષ સાથે આવ્યા, કહ્યું-વિપક્ષી એકતાના પક્ષમાં વિરોધ નહીં કરૂ
નવી દિલ્હી : હિંડનબર્ગ રિપોર્ટને લઈને અદાણી ગ્રુપના કથિત કૌભાંડને આગળ કરીને વિપક્ષ સતત કેન્દ્ર સરકાર પર નિશાન સાધી રહ્યું છે. વિપક્ષ આ મુદ્દે સતત જોઈન્ટ પાર્લામેન્ટરી કમિટી બનાવવા માટે સરકાર પર દબાણ કરી રહ્યું છે. જો કે હાલમાં જ એનસીપી અધ્યક્ષ શરદ પવારે જેપીસી તપાસ મુદ્દે ઘણી આશંકાઓ વ્યક્ત કરી હતી અને કહ્યું હતું કે જેપીસી કરતાં અદાણીના મુદ્દાની સુપ્રીમ કોર્ટ દ્વારા નિયુક્ત સમિતિ દ્વારા તપાસ કરાવવી વધુ સારું રહેશે. હવે શરદ પવારે આ નિવેદન મુદ્દે નરમ પડતા જોવા મળ્યા છે.

કોંગ્રેસ સહિતના વિરોધ પક્ષો અદાણી મુદ્દે જેપીસી તપાસની માંગ કરી રહ્યા છે ત્યારે શરદ પવારે કહ્યું કે, તે અદાણી મુદ્દે સંયુક્ત સંસદીય સમિતિની તપાસના સમર્થનમાં નથી પરંતુ તેઓ તેનો વિરોધ પણ નહીં કરે. શરદ પવારના વલણમાં આ મોટો ફેરફાર વિપક્ષી એકતા જાળવવામાં સહકાર આપવાને કારણે જોવા મળ્યો છે. તેમણે પોતાના નિવેદનમાં સ્પષ્ટ કર્યું કે, તેઓ જેપીસીનો વિરોધ ન કરવાનો નિર્ણય માત્ર વિપક્ષી એકતાના હિતમાં લઈ રહ્યા છે.
શરદ પવારે આગળ કહ્યું કે, વિરોધી પક્ષોની એકતામાં મારાથી મિત્રનો અભિપ્રાય અલગ હોઈ શકે છે પરંતુ આપણે આમાં એક થવું પડશે. મેં માત્ર મારો અભિપ્રાય વ્યક્ત કર્યો છે. પરંતુ જો સાથીદારોને લાગે છે કે JPC તપાસની જરૂર છે તો હું તેનો વિરોધ નહીં કરું. હું કદાચ તેના અભિપ્રાય સાથે સહમત ન હોઉં પરંતુ વિપક્ષની તાકાતને અસર થવા નહીં દઉં.
શરદ પવારે કહ્યું કે, જો જેપીસીની રચના કરાય તો લોકસભામાં બહુમતી હોવાને કારણે બહુમતી સભ્યો બીજેપીના હશે અને બાકીના થોડા વિપક્ષના હશે, જો કે, જો વિપક્ષ ઇચ્છે તો મને વાંધો નથી. જો કે આ પહેલા તેમણે કહ્યું હતું કે, NCPએ અદાણી મુદ્દે JPCને સમર્થન આપ્યું છે, પરંતુ મને લાગે છે કે JPC પર શાસક પક્ષનું વર્ચસ્વ રહેશે. તેથી જ સત્ય બહાર નહીં આવે.












Click it and Unblock the Notifications
