શરદ પવારની તબિયત લથડતા હોસ્પિટલ ખસેડાયા, જાણો હાલ કેવી છે સ્થિતી?
નેશનાલિસ્ટ કોંગ્રેસ પાર્ટી (SP)ના સુપ્રીમો શરદ પવારની તબિયત અચાનક બગડતા તેમને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાયા છે. સોમવાર સવારથી જ તેઓ તીવ્ર તાવ અને સતત ખાંસીની સમસ્યાથી પીડાતા હોવાનું જાણવા મળ્યું છે.
બારામતી સ્થિત નિવાસસ્થાને પ્રાથમિક તપાસ બાદ તબિયતમાં સુધારો ન થતા તેમને તાત્કાલિક હોસ્પિટલ લઈ જવાનો નિર્ણય લેવાયો હતો. હાલમાં દેશભરના રાજકીય નેતાઓ અને સમર્થકો તેમની તબિયતને લઈને ચિંતા વ્યક્ત કરી રહ્યા છે.

તાજેતરમાં ભત્રીજા અને મહારાષ્ટ્રના ડેપ્યુટી સીએમ અજિત પવારના નિધનને કારણે શરદ પવાર ઊંડા શોકમાં અને માનસિક તણાવમાં હતા. સતત દોડધામ અને વધતી ઉંમરને કારણે તેમના શરીર પર થાકની અસર જોવા મળી રહી છે.
શરદ પવારને ચુસ્ત સુરક્ષા અને કાર્ડિયાક એમ્બ્યુલન્સની સુવિધા સાથે બારામતીથી પુણેની રૂબી હોલ ક્લિનિકમાં ખસેડવામાં આવ્યા છે. આ સમયે તેમની પુત્રી સુપ્રિયા સુળે અને જમાઈ સદાનંદ સુળે પણ તેમની સાથે હાજર રહ્યા હતા.
હોસ્પિટલના સૂત્રો મુજબ, શરદ પવારને કફ જામી જવાથી શ્વાસ લેવામાં તકલીફ પડતી હોવાથી તેમને ઓક્સિજન માસ્ક સાથે લાવવામાં આવ્યા હતા. હાલમાં નિષ્ણાત ડોક્ટર સાયમન ગ્રાન્ટની ટીમ દ્વારા તેમની સઘન સારવાર શરૂ કરવામાં આવી છે.
નોંધનીય છે કે અજિત પવારની તેરમીના વિધિ કાર્યક્રમ દરમિયાન જ શરદ પવારની તબિયત નાદુરસ્ત બની હતી. આ પારિવારિક પ્રસંગમાં હાજરી આપવાને બદલે તેમને ઈમરજન્સીમાં મેડિકલ હેલ્પ માટે હોસ્પિટલ જવું પડ્યું હતું.
પુણેની હોસ્પિટલ બહાર સમર્થકોની ભીડને જોતા પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. ડોક્ટરો હાલમાં એક્સ-રે અને બ્લડ ટેસ્ટ દ્વારા ઇન્ફેક્શનની તપાસ કરી રહ્યા છે, જો કે તેમની હાલત સ્થિર છે.












Click it and Unblock the Notifications
