શરદ પવારની મહારાષ્ટ્રના મુખ્યમંત્રી બનવાની અનિચ્છા
મુંબઇ, 9 જૂન : રાષ્ટ્રવાદી કૉંગ્રેસ (એનસીપી) પ્રમુખ શરદ પવારને મહારાષ્ટ્ર વિધાનસભાની આગામી ચૂંટણી મુખ્યમંત્રી પદના ઉમેદવાર તરીકે પ્રોજેક્ટ કરીને લડવાની પક્ષના કાર્યકરોની માગણી સામે અનિચ્છા દર્શાવી છે. તેમણે કહ્યું હતું કે 'હું દિલ્હીમાં છું તે જ સારું છે. રાષ્ટ્રવાદી કૉંગ્રેસ સામૂહિક નેતાગીરી હેઠળ વિધાનસભા ચૂંટણી લડે!'
રાષ્ટ્રવાદી કૉંગ્રેસના 15મા સ્થાપના દિનની ઉજવણી દરમિયાન પવારે એમ જણાવ્યું કે 'પક્ષ સામૂહિક નેતાગીરીથી વિધનસભા ચૂંટણી લડે તથા લોકોનો વિશ્વાસ મેળવ્યા બાદ લોકશાહી ઢબે જ મુખ્યમંત્રી કોણ બને એ નક્કી કરે. એમાં જ પાર્ટીનું હિત છે.'
શરદ પવારે લગભગ અડધા કલાકના વકતવ્યમાં અનેક મુદ્દાઓ પર વાત કરી હતી. પવારે લોકસભા ચૂંટણીમાં પરાજયથી હચમચી ગયેલા કાર્યકરોને નિરાશ નહીં થવાની સલાહ આપવા સાથે વિધાનસભાની ચૂંટણી માટે તૈયારી કરવા પ્રોત્સાહિત કર્યા હતા.
પવારે જણાવ્યું કે કેન્દ્રમાં જે થયું તે રાજયમાં પણ થશે જ તેમ માની લેવાની જરૂર નથી. પવારે પક્ષને યાદ કરાવ્યું હતું કે 1999માં કેન્દ્રમાં વાજપેયી સરકાર બની હતી છતાં મહારાષ્ટ્રમાં કૉંગ્રેસ-રાષ્ટ્રવાદી કૉંગ્રેસની સરકાર રચાઈ હતી. 'અલબત્ત, આપણે આપણી ભૂલોમાંથી બોધપાઠ લેવો જોઈએ. તમે જાતે જ સુધરો નહીંતર લોકો તમને સુધારશે.'
પુણેમાં 28 વર્ષીય મોહસીન શેખ નામના સોફટવેર એન્જીનીયરની હિંદુ રાષ્ટ્ર સેનાના કાર્યકરો દ્વારા થયેલી કથિત હત્યાનો ઉલ્લેખ કરતાં પવારે જણાવ્યું હતું કે 'કેન્દ્રમાં ભાજપના નેતૃત્વવાળી એનડીએ સરકાર થયા પછી કેટલીક વિચારધારાઓમાં કોમી તનાવ ફેલાવવાની હિંમત પેદા થઈ છે.'