આઇસીસીના અધ્યક્ષ પદેથી શશાંક મનોહરનું રાજીનામું
આઇસીસી ના અધ્યક્ષ પદેથી શશાંક મનોહરે આપ્યું રાજીનામું, વ્યક્તિગત કારણોસર આપ્યું રાજીનામું.
આઇસીસી ના અધ્યક્ષ શશાંક મનોહરે પોતાના પદેથી રાજીનામું આપી દીધું છે. આ રાજીનામું આપવા પાછળ વ્યક્તિગત કારણ હોવાનું તેમણે જણાવ્યું છે. શશાંક મનોહરે તાત્કાલિક પ્રભાવ હેઠળ ચેરમેન પદેથી રાજીનામું આપતાં આઇસીસીનું સૌથી ઊંચુ પદ ખાલી છોડી દીધું છે. મે 2016માં તેઓ કોઇ વિરોધ વિના આઇસીસી ના ચેરમેન નિમાયા છે.
શશાંક મનોહરને વર્ષ 2016માં બે વર્ષ માટે આઇસીસી ના ચેરમેન બનાવવામાં આવ્યા હતા, તે સમયે તેમણે બીસીસીઆઇ ના અધ્યક્ષ પદેથી રાજીનામું આપ્યું હતું. જે સમયે આઇસીસી ના અધ્યક્ષ પદની ચૂંટણી થઇ ત્યારે શશાંક મનોહર એકમાત્ર નામ હતું, બોર્ડે પણ તેમને પોતાનું સમર્થન આપ્યું હતું.
ઉલ્લેખનીય છે કે, શશાંક મનોહર જાણીતા વકીલ છે અને તેમણે પહેલી વાર 2008-11 સુધી બીસીસીઆઇ ના અધ્યક્ષ પદની કામગીરી સંભાળી હતી. તેમણે જગમોહન ડાલમિયાની જગ્યાએ બીસીસીઆઇનું અધ્યક્ષ પદ સંભાળ્યું હતું, જે પછી વર્ષ 2015માં ફરી એક વાર તેઓ બીસીસીઆઇના અધ્યક્ષ બન્યા હતા.