ચંપલમાર સાંસદને શિવસેનાનું સમર્થન, એર ઇન્ડિયા પર કરશે કેસ
એર ઇન્ડિયા તથા અન્ય 6 એર લાઇન્સ દ્વારા રવિન્દ્ર ગાયકવાડ પર પ્રતિબંધ મુકાયા બાદ આખરે તેઓ ટ્રેનમાં યાત્રા કરી દિલ્હીથી પૂના પહોંચ્યા હતા.
શુક્રવારે એર ઇન્ડિયા તથા અન્ય 6 ભારતીય એરલાઇન્સ દ્વારા શિવસેના સાંસદ રવિન્દ્ર ગાયકવાડ પર તેમની ગેર-વર્તણુક બદલ પ્રતિબંધ મુકવામાં આવ્યો હતો. આ પ્રતિબંધ હેઠળ રવિન્દ્ર ગાયકવાડની દિલ્હીથી પૂનાની ટિકિટ ઇન્ડિગો દ્વારા રદ્દ કરવામાં આવી હતી. રવિન્દ્ર ગાયકવાડ આખરે નાછૂટકે ટ્રેનમાં યાત્રા કરી પૂના પહોંચ્યા હતા. શિવસેના પાર્ટી આ મુદ્દે રવિન્દ્ર ગાયકવાડના પક્ષમાં છે, પરંતુ પાર્ટીના પ્રમુખ ઉદ્ધવ ઠાકરે એ આ મુદ્દે ચુપ્પી સાધી રાખી છે.
એર ઇન્ડિયા પર કરશે કેસ
ઉપલબ્ધ માહિતી અનુસાર રવિન્દ્ર ગાયકવાડ હવે એર ઇન્ડિયા પર કાયદાકીય કાર્યવાહી કરવાનું વિચારી રહ્યાં છે. ઇન્ડિયા ટુડે સાથે વાત કરતાં તેમણે કહ્યું હતું કે, તેમને બ્લેક લિસ્ટમાં મુકવા બદલ તથા અન્ય એરલાઇન્સને તેમની ટિકિટ રદ્દ કરવા માટે પ્રોત્સાહન આપવા બદલ તેઓ એર ઇન્ડિયા પર કેસ કરશે.
રવિન્દ્ર ગાયકવાડ છે ગાયબ
ટ્રેનમાં બેસી દિલ્હીથી પૂના આવેલા શિવસેના સાંસદ શુક્રવાર સાંજથી ગાયબ છે. તેઓ ના તો મુંબઇમાં છે, ના તો પૂનામાં કે ના તો તેમના સાંસદીય ક્ષેત્ર ઉસ્માનાબાદમાં. ઉપલબ્ધ જાણકારી અનુસાર તેઓ સીધા બુધવારે સંસદમાં જ ઉપસ્થિત થશે.
પ્રતિબંધનો લોકસભામાં થયો વિરોધ
આ દરમિયાન શિવસેના દ્વારા લોકસભામાં પણ આ મુદ્દો ઉઠાવવામાં આવ્યો હતો. શિવસેનાએ રવિન્દ્ર ગાયકવાડનો પક્ષ લેતાં કહ્યું હતું કે, કોઇ સાંસદ પર આ રીતે પ્રતિબંધ મુકવો ગેરકાયદેસર છે. સાથે જ તેમણે આ પ્રતિબંધ તાત્કાલિક ખસેડી લેવાની માંગણી પણ કરી હતી. સપા અને કોંગ્રેસના પણ કેટલાક સાંસદોએ આ પ્રતિબંધનો વિરોધ કર્યો હતો.
કપિલ શર્મા પર નથી મુક્યો પ્રતિબંધ
શિવસેનાએ આગળ કહ્યું હતું કે, મીડિયાના દબાણમાં આવીને ગાયકવાડ વિરુદ્ધ બે એફઆઇઆર નોંધાઇ છે. જો એમ જ હોય તો, રવિન્દ્ર ગાયકવાડની ફરિયાદને આધારે એર ઇન્ડિયા વિરુદ્ધ પણ એફઆઇઆર નોંધાવી જોઇએ. શિવસેના સાંસદ આનંદરાવ અદસુલે આ મામલે લોકસભામાં કહ્યું હતું કે, મને આશા છે કે, લોકસભા અધ્યક્ષ આ મામલાને સરકાર સામે રજૂ કરશે. કપિલ શર્માએ પણ ફ્લાઇટમાં એરસાઇન્સના સ્ટાફ સાથે ગેરવર્તણૂક કરી હતી, પરંતુ હજુ સુધી કોઇ એરલાઇન્સ દ્વારા તેમની પ્રતિબંધ મુકાવામાં નથી આવ્યો.
અહીં વાંચો -કપિલની વધી મુશ્કેલી, એર ઇન્ડિયા તરફથી મળશે નોટિસ?
ઉસ્માનાબાદમાં બંધની જાહેરાત
બીજી બાજુ રવિન્દ્ર ગાયકવાડના સાસંદીય ક્ષેત્ર ઉસ્માનાબાદમાં શિવસેનાના કાર્યકર્તાઓ રોડ પર ઉતરી આવ્યા છે. તેમણે આ મામલે સોમવારે ઉસ્માનાબાદમાં બંધની જાહેરાત કરી છે. ઓમેર્ગામાં શિવસેના સમર્થકોએ ગાયકવાડના સમર્થનમાં બાઇક રેલી કાઢી હતી. શિવસેના તરફથી આ મામલે એર ઇન્ડિયા પાસે માફીની માંગણી કરવામાં આવી છે.
નિયમ બધા માટે સમાન
બીજી બાજુ સિવિલ એવિએશન મિનિસ્ટરનું કહેવું છે કે, ડીજીસીએ (ડિરેક્ટોરેટ જનરલ ઓફ સિવિલ એવિએશન) દ્વારા એરલાઇન્સને હક આપવામાં આવ્યો છે કે, તેઓ કોઇ પણ ગેર-વર્તણૂક કરનાર કોઇ પણ મુસાફર પર પ્રતિબંધ મૂકી શકે છે તથા આ નિયમ બધા માટે સમાન છે. ઉલ્લેખનીય છે કે, બેઠકના મામલે એર ઇન્ડિયાના 60 વર્ષીય કર્મચારીને ચંપલથી મારવા બદલ તથા તેમની સામે અપશબ્દો બોલવા બદલ રવિન્દ્ર ગાયકવાડના 6 ભારતીય એરલાઇન્ય દ્વારા બેન કરવામાં આવ્યા છે.
અહીં વાંચો