દિલ્હીઃ દર બીજા દિવસે 5 માઇનોર બાળા સાથે થાય છે દુષ્કર્મ
ન્યૂ દિલ્હી, રાહુલ અને સોનિયા ગાંધી પર ચાલી રહેલ નેશનલ હેરાલ્ડ કેસને લઇને સંસદના બંને ગૃહમાં ભારે હંગામો મચ્યો છે. ત્યારે રાજ્યસભામાં ગૃહ રાજ્યમંત્રીએ ચોંકાવનારાં તથ્યો સામે રાખ્યાં છે. કેન્દ્રીય ગૃહ રાજ્યમંત્રી હરિભાઇ પાર્થીભાઇ ચૌધરીએ દેશની રાજધાની દિલ્હીમાં બાળાઓ સાથે થતા દુષ્કર્મના આંકડા સામે રાખ્યા છે.
હરિભાઇ ચૌધરીએ જણાવેલા આંકડા મુજબ દિલ્હીમાં દર બીજા દિવસે 5 બાળા દુષ્કર્મનો ભોગ બને છે. દેશની કહેવાતી દુષ્કર્મની રાજધાની દિલ્હીમાં ઓક્ટોબર 2015 સુધી 1856 દુષ્કર્મના કેસ સામે આવ્યા હતા, જેમાંથી 824 કેસ માઇનોર બાળાઓના હતા. વર્ષ 2013માં 1636 રેપના કેસ નોંધાયા હતા જેમાંથી 757 પીડિતા માઇનોર હતી. જ્યારે વર્ષ 2014માં 2166 રેપ કેસ નોંધાયા જેમાંથી 1004 પીડિતા માઇનોર હતી.
પરંતુ જાણે કે આ ઘટનાઓ અંગે વિપક્ષને કાંઇ પડી જ નથી. આ આંકડાઓ સામે આવ્યા બાદ વિપક્ષે ગૃહમંત્રી કે વડાપ્રધાનને ઘેરવાની કોશિશ સુદ્ધાં ન કરી.
ત્યારે દિલ્હીમાં નરાધમ હેવાનોનો ભોગ બનતી બાળાઓને લઇ અરવિંદ કેજરીવાલને કેન્દ્ર સરકાર કે દિલ્હી પોલીસ પર સવાલ ઉઠાવી શકે તેવો મોકો મળ્યો છે. દેશની આવી ગંભીર સમસ્યાને પગલે રાજનૈતિક પક્ષોની ચુપ્પી ચિંતાનો વિષય છે.