શું શ્રદ્ધાને ખબર હતી કે આફતાબ તેના ટૂકડા કરી દેવાનો છે? 2 વર્ષ પહેલા જ તેણે પોલીસને જણાવી દીધુ હતુ
હાલમાં એક ચોંકાવનારી માહિતી એ જાણવા મળી છે કે શ્રદ્ધાએ 2 વર્ષ પહેલા જણાવ્યુ હતુ કે આફતાબ તેના ટૂકડા-ટૂકડા કરી દેશે.
Shraddha Mumbai Police Letter: શ્રદ્ધા વૉકર હત્યાકાંડમાં રોજેરોજ ચોંકાવનારા ખુલાસા થઈ રહ્યા છે. આફતાબ એટલો ક્રૂર હતો કે પોતાની લિવ-ઈન પાર્ટનર શ્રદ્ધાની 18 મેના રોજ હત્યા કરીને લાશના 35 ટૂકડા કરીને ફ્રીઝમાં રાખી દીધા અને 18 દિવસ સુધી તેને દિલ્લીના અલગ-અલગ વિસ્તારોમાં ફેંકતો રહ્યો. સમગ્ર ઘટનાનો ખુલાસો દિલ્લી પોલીસે 6 મહિના પછી કર્યો. સમગ્ર હત્યાકાંડ પર આરોપી આફતાબે એવા રાઝ ખોલ્યા છે જેને સાંભળીને દિલ્લી પોલીસ પણ દંગ રહી ગઈ છે. હાલમાં એક ચોંકાવનારી માહિતી એ જાણવા મળી છે કે શ્રદ્ધાએ 2 વર્ષ પહેલા જણાવ્યુ હતુ કે આફતાબ તેના ટૂકડા-ટૂકડા કરી દેશે.
23 નવેમ્બર, 2020એ લખ્યો હતો મુંંબઈ પોલીસને પત્ર
જાણવા મળ્યુ છે કે આફતાબ રિલેશનશિપમાં આવ્યો ત્યારથી જ શ્રદ્ધા સાથે હિંસક વર્તન કરતો હતો. મીડિયા રિપોર્ટ મુજબ શ્રદ્ધાએ બે વર્ષ પહેલા આફતાબ વિશેની ફરિયાદમાં મુંબઈ પોલીસને મારપીટ વિશે જણાવ્યુ હતુ. મીડિયા રિપોર્ટ્સમાં દાવો કરવામાં આવી રહ્યો છે કે 23 નવેમ્બર 2020ના રોજ શ્રદ્ધાએ મુંબઈમાં પાલઘર પોલીસને એક અરજી આપી હતી. જેમાં કહેવામાં આવ્યુ હતુ કે આફતાબ તેની સાથે હિંસક વર્તન કરે છે. તેની સાથે મારપીટ કરવામાં આવે છે. જો તેના લિવ-ઈન પાર્ટનર પર સમયસર પગલાં લેવામાં નહિ આવે તો તેનો જીવ જશે.
'આફતાબ મારા ટૂકડા-ટૂકડા કરી દેશે'- પત્રમાં લખ્યુ હતુ
શ્રદ્ધાએ પોલીસને લખેલા પત્રમાં તેના ટૂકડા થઈ જવાનો ભય વ્યક્ત કર્યો હતો. મુંબઈ પોલીસને લખેલા પત્રમાં શ્રદ્ધાએ સ્પષ્ટ લખ્યુ છે કે આફતાબે તેની હત્યા કરવાનો પ્રયાસ કર્યો હતો. એટલુ જ નહિ શ્રદ્ધાએ આફતાબ વિશે તેના પરિવારને પણ જણાવ્યુ હતુ પરંતુ આફતાબના પરિવારે કોઈ પગલુ ભર્યુ ન હતુ અને પરિણામે આરોપી આફતાબે શ્રદ્ધાને નિર્દયતાથી માર્યા બાદ તેના ટુકડા કરી નાખ્યા હતા.
2 વર્ષ જૂના પત્રએ ખોલ્યા રાઝ
2 વર્ષ જૂના આ પત્રમાં સ્પષ્ટપણે જોવા મળે છે કે આફતાબ રિલેશનશિપમાં આવ્યો ત્યારથી તેની સાથે મારઝૂડ કરતો હતો. એટલુ જ નહિ શ્રદ્ધાએ પોતાના પત્રમાં એવો પણ ખુલાસો કર્યો હતો કે આફતાબ તેને મારી નાખવાની અને તેના ટુકડા કરવાની ધમકી આપે છે. આફતાબે તેની ખરાબ રીતે પિટાઈ કરી હતી. જેના કારણે શ્રદ્ધાને હૉસ્પિટલમાં દાખલ કરવી પડી હતી.
સુસાઈડ કરવાની ધમકી પણ આપતો હતો આફતાબ
મુંબઈ પોલીસને લખેલા પત્રમાં શ્રદ્ધાએ એ પણ ખુલાસો કર્યો હતો કે આફતાબ તેને આત્મહત્યા કરવાની ધમકી આપતો હતો. જેના કારણે તે ડરી જતી હતી. મીડિયા રિપોર્ટ મુજબ આફતાબે બાદમાં શ્રદ્ધાની માફી માંગી હતી. ત્યારબાદ બંને ફરી સાથે રહેવા લાગ્યા હતા. તમને જણાવી દઈએ કે આ સમગ્ર મામલામાં પોલીસે આફતાબના ત્રણ મિત્રોના નિવેદન નોંધ્યા છે. અત્યાર સુધીમાં 17 લોકોના નિવેદન નોંધવામાં આવ્યા છે.