લખનઉ, 27 માર્ચ: ડિસેમ્બરમાં થયેલી વિધાનસભા ચૂંટણીના પરિણામો બાદ કોંગ્રેસના ઉપાધ્યક્ષ રાહુલ ગાંધીને કોંગ્રેસ પાર્ટીનો સૌથી મોટો પડકાર આપનાર ભાજપની ઉપાધ્યક્ષ સ્મૃતિ ઇરાણી હવે અમેઠીથી રાહુલ ગાંધીને પડકાર આપતી દેખાઇ રહી છે. સૂત્રો અનુસાર પાર્ટી ઇચ્છે છે કે સ્મૃતિ, કોંગ્રેસના ગઢ અમેઠીથી ચૂંટણી લડે. આ ઉપરાંત પાર્ટી રાયબરેલી બેઠકથી ઉમા ભારતીને સોનિયા ગાંધીની વિરુધ્ધ ચૂંટણી મેદાનમાં ઉતારી શકે છે.
જો સ્મૃતિ અમેઠીથી ચૂંટણી લડશે તો ચોક્કસ વારાણસી બાદ સૌની નજર અમેઠી બેઠક પર ટકી રહેશે. અત્રે આપ પાર્ટીના કુમાર વિશ્વાસ પહેલાથી જ રાહુલ ગાંધીની વિરુધ્ધ ચૂંટણી લડવાની જાહેરાત કરી ચૂક્યા છે.
જ્યારે ઉત્તર પ્રદેશમાં કોંગ્રેસના જ વધુ એક મહત્વના ગઢ રાયબરેલીથી પાર્ટી ઉમા ભારતીને સોનિયા ગાંધીની વિરુધ્ધ ચૂંટણીમાં ઊભા કરવાની તૈયારી કરી રહી છે. રાયબરેલી કોંગ્રેસનું એવું ગઢ માનવામાં આવે છે જ્યાંથી પાર્ટીની જીત લગભગ પાક્કી માનવામાં આવે છે. સ્મૃતિ ઇરાણી અને ઉમા ભારતીને ચૂંટણી મેદાનમાં ઉતારવાથી સ્પષ્ટ છે કે ભાજપ ઉત્તર પ્રદેશમાં આ વખતે ચૂંટણી જંગને કોણપણ રીતે જીતવા માટે તત્પર છે.