જે દિવસે પીએમ મોદી સંન્યાસ લઈ લેશે, હું પણ રાજનીતિ છોડી દઈશઃ સ્મૃતિ ઈરાની
મોદી સંન્યાસ લઈ લેશે, તો હું પણ રાજનીતિ છોડી દઈશઃ સ્મૃતિ
નવી દિલ્હીઃ કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાનીએ પોતાના રાજનૈતિક ભવિષ્યને લઈ મહત્વનું નિવેદન આપ્યું છે. સ્મૃતિ ઈરાનીએ કહ્યું કે જે દિવસે પીએમ મોદી રાજનીતિથી અલગ થવાનો ફેસલો લેશે હું પણ રાજનીતિ છોડી દઈશ. એક કાર્યક્રમ દરમિયાન જ્યારે ઈરાનીને પૂછવામાં આવ્યું કે અમે તમને પ્રધાન સેવક બનતા ક્યારે જોઈશું. જેના સવાલના જવાબમાં સ્મૃતિ ઈરાનીએ કહ્યું કે ક્યારેય નહિ, હું રાજનીતિમાં કરિશ્માઈ નેતા નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં કામ કરવા માટે આવી છું.
સ્મૃતિ ઈરાનીએ કહ્યું કે હું બહુ સૌભાગ્યશાળી છું કે મને પૂર્વ પીએમ અટલ બિહારી વાજપેયીના નેતૃત્વમાં કામ કરવાનો મોકો મળ્યો, હાલના સમયમાં નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં પોતાની સેવાઓ આપી રહી છું. ઈરાનીએ કહ્યું કે જે દિવસે પીએમ મોદી રાજનીતિ છોડવાનો ફેસલો લેશે હું પણ એ સમયે પણ ભારતીય રાજનીતિથી સન્યાસ લઈ લઈશ. ઉલ્લેખનીય છે કે પીએમ મોદીએ સ્મૃતિ ઈરાની માટે ખુદ અમેઠીમાં ચૂંટણી પ્રચાર કર્યો હતો અને તેમણે પોતાની બહેન ગણાવી હતી.
જ્યારે સ્મૃતિ ઈરાનીને પૂછવામાં આવ્યું કે શું તે રાહુલ ગાંધી વિરુદ્ધ ફરી એકવાર લોકસભા ચૂંટણી લડશે, તો તેમણે કહ્યું કે નિર્ણય પાર્ટી નેતૃત્વ કરશે. ઈરાનીએ કહ્યું કે 2014માં જ્યારે હું ચૂંટણી લડી હતી તો લોકો પૂછી રહ્યા હતા કે સ્મૃતિ કોણ છે, પરંતુ 2019માં લોકો જાણે છે કે હું કોણ છું. જણાવી દઈએ કે ગત લોકસભા ચૂંટણીમાં સ્મૃતિ ઈરાનીએ રાહુલ ગાંધી વિરુદ્ધ ચૂંટણી લડી હતી પરંતુ તેમણે હારનો સામનો કરવો પડ્યો હતો.
આ પણ વાંચો- જાણો શું છે શારદા ચિટફંડ ગોટાળો જેના કારણે સીબીઆઈ સામે ભિડાયા મમતા