નવી દિલ્હી, 14 મે: લોકસભા ચૂંટણી પહેલા જ યૂપીએના વડાપ્રધાન મનમોહન સિંહે પોતાના રિટાયરમેન્ટની જાહેરાત કરી દીધી હતી. એવામાં હવે બે દિવસમાં જ ચૂંટણીના પરિણામો આવવાના છે તો વડાપ્રધાન મનમોહન સિંહે પોતાના જવાની સંપૂર્ણ તૈયારીઓ કરી લીધી છે.
વડાપ્રધાને ગઇકાલે જ અધિકારીઓને મળીને વિદાઇ લઇ લીધી. તેમના અધિકારીઓએ તેમને સ્ટેડિંગ ઓબિશન આપીને તેમનું સન્માન કર્યું અને બૂકે આપ્યું. વડાપ્રધાન મનમોહન સિંહે પણ સૌનો આભાર માન્યો. જ્યારે આજે યૂપીએ ચેરપર્સન સોનિયા ગાંધીએ વડાપ્રધાન મનમોહન સિંહના સન્માનમાં ડિનરનું આયોજન કર્યું છે. સોનિયાએ વડાપ્રધાનના સન્માનમાં ફેરવેલ પાર્ટીનું આયોજન કર્યું છે. આનાથી મનમોહન સિંહને વિદાઇ આપવામાં આવશે. આ ડિનર લોકસભા ચૂંટણીના પરિણામો જાહેર થવાના બે દિવસ પહેલા થઇ રહ્યું છે.
મનમોહન સિંહે 10 વર્ષ સુધી વડાપ્રધાન પદનો કાર્યભાર સંભાળ્યો. તેમણે આ વર્ષની શરૂઆતમાં જ જણાવી દીધું હતું કે તેઓ હવે વડાપ્રધાનની રેસમાં નથી. પોતાનો હોદ્દો છોડવાથી એક દિવસ પહેલા તે રાષ્ટ્રના નામે પોતાનો સંદેશો પણ આપવાના છે. આ ફેરવેલ પાર્ટીમાં મનમોહન સિંહને એક સ્મૃતિચિહ્ન આપવામાં આવી શકે છે, જેની પર કોંગ્રેસ કાર્યસમિતિના તમામ સભ્યો અને કેન્દ્રીય મંત્રિયોના હસ્તાક્ષર હોઇ શકે છે.