દિલ્હીઃ લાલ કિલ્લા પાસેથી બે સંદિગ્ધ આતંકવાદીઓની ધરપકડ
રાજધાની દિલ્હીમાં પોલીસની સ્પેશિયલ સેલે ગુરુવારે રાત્રે એક ઓપરેશન હાથ ધરી 2 સંદિગ્ધ આતંકવાદીઓને દબોચી લીધા છે.
નવી દિલ્હીઃ રાજધાની દિલ્હીમાં પોલીસની સ્પેશિયલ સેલે ગુરુવારે રાત્રે એક ઓપરેશન હાથ ધરી 2 સંદિગ્ધ આતંકવાદીઓને દબોચી લીધા છે. જણાવવામાં આવી રહ્યું છે કે પોલીસની ટીમે આ બંને સંદિગ્ધ આતંકવાદીઓને લાલ કિલ્લાના ગેટ નંબર 2 પાસે આવેલ જામા મસ્જિદના બસ્ટોપ પરથી દબોચ્યા હતા. પકડાયેલ બંને સંદિગ્ધોની ઓળખ પરવેઝ રાશિદ અને જમશેદ જહૂર તરીકે થઈ છે. બંને સંદિગ્ધ જમ્મુ અને કાશ્મીરના રહેવાસી છે.
ડીસીપી સ્પેશિયલ સેલે જણાવ્યા મુજબ બંને આતંકવાદીઓ પાસેથી 2 પિસ્તોલ, 10 કારતૂસ અને ચાર મોબાઈલ ફોન મળ્યા છે. પોલીસ મુજબ એમણે આ હથિયાર યુપીની કોઈ જગ્યાએથી ખરીદ્યાં હતાં અને જમ્મુ તથા કશ્મીરમાં લઈ જઈ રહ્યા હતા. પોલીસ મુજબ તેઓ આતંકી ગતિવિધિઓમાં હથિયારનો ઉપયોગ કરવાના હતા.
પોલીસે જણાવ્યું કે આ બંને આરોપીઓ જમ્મુ અને કાશ્મીરમાં સક્રિય આતંકવાદી સંગઠન ISJKની વિચારધારાથી પ્રભાવિત હતા અને તેમણે આતંકી સંગઠન જોઈન કરી લીધું હતું. જાન્યુઆરીમાં સુરક્ષાદળોએ એક અથડામણમાં પરવેઝના ભાઈને ઠાર માર્યો હતો. તે શરુઆતમાં હિજબુલ મુદાહિદ્દીનનો સભ્ય હતો, બાદમાં આઈએસજેકેમાં સામેલ થઈ ગયા હતા. એમના પ્લાનમાં દિલ્હી સામેલ ન હતું, તેઓ માત્ર અહીં ફરવા આવ્યા હતા.
પૂછપરછ દરમિયાન આતંકવાદીઓએ જણાવ્યું કે સંગઠનના નેતા ઉમર ઈબ્ર નાઝીર છે અને બીજા નંબરના નેતા આદિલ ઠોકર છે. તેઓ આદિલ ઠોકરના આદેશનું પાલન કરતા હતા. મીડિયામાં ફરી રહેલા અહેવાલો મુજબ જમશેદ મહૂરના પિતા જમ્મુ કાશ્મીર પોલીસમાં કાર્યરત છે. જ્યારે અન્ય એક સંદિગ્ધ પરવેઝ રાશિદનો ભાઈ સેનાના એક એન્કાઉન્ટરમાં ઠાર મરાયો હતો. હાલ બંને આતંકવાદીઓની પૂછપરછ થઈ રહી છે. આ પણ વાંચો- તબિયત બગડતાં હાર્દિક પટેલને હોસ્પિટલે ખસેડવામાં આવ્યો