ભગવંત માને લોકોને કરી અપીલ, કહ્યું- લાંચ માંગતા અધિકારીઓનુ નામ આપો, કડક કાર્યવાહી કરાશે
પંજાબને સંપૂર્ણ રીતે ભ્રષ્ટાચાર મુક્ત બનાવવાનો ભગવંત માને ચૂંટણીમાં વાયદો કર્યો હતો. તેમના વાયદા પ્રત્યો પોતાની પ્રતિબદ્ધતાનો પુનરોચ્ચાર કરતાં સીએમ ભગવંત માને લોકોને કામ કરાવવા બદલ લાંચ માગનારાઓના નામ જણાવવાની અપીલ કરી
પંજાબને સંપૂર્ણ રીતે ભ્રષ્ટાચાર મુક્ત બનાવવાનો ભગવંત માને ચૂંટણીમાં વાયદો કર્યો હતો. તેમના વાયદા પ્રત્યો પોતાની પ્રતિબદ્ધતાનો પુનરોચ્ચાર કરતાં સીએમ ભગવંત માને લોકોને કામ કરાવવા બદલ લાંચ માગનારાઓના નામ જણાવવાની અપીલ કરી હતી. સીએમ માને કહ્યું કે સરકારે આવા લોકો સામે કડક કાર્યવાહી કરશે. ભ્રષ્ટ તત્વો સામે કડકમાં કડક પગલાં લેવામાં આવશે.
તાલુકા કચેરી અને સુવિધા કેન્દ્રની ઓચિંતી મુલાકાત દરમિયાન પત્રકારો સાથેની વાતચીતમાં ભગવંત માને જણાવ્યું હતું કે ભ્રષ્ટાચારને કોઈપણ ભોગે સાંખી લેવામાં આવશે નહીં. જો કામ કરાવવા માટે લાંચ લેવાની ફરિયાદ સામે આવશે તો તેઓ કડક કાર્યવાહી કરશે. હાલ પણ આવા અધિકારીઓ સામે કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે. સરકારે લાંચ માંગનારાઓ સામે ફરિયાદ કરવા માટે ભ્રષ્ટાચાર વિરોધી એક્શન લાઈન પણ બનાવી છે અને અત્યાર સુધી મળેલી ફરિયાદોના આધારે ભ્રષ્ટાચારીઓ સામે કાર્યવાહી કરવામાં આવી છે.
લોકોને સંબોધતા મુખ્યમંત્રીએ કહ્યું કે, હું તમને અપીલ કરું છું કે જો કોઈ તમારી પાસેથી લાંચ માંગે તો અમને તરત જણાવો. આવા લાંચ લેનારાઓ સામે કાર્યવાહી કરવાની જવાબદારી અમારી છે. તમારા સહકારથી એ સુનિશ્ચિત કરવામાં આવશે કે સરકાર સંપૂર્ણપણે ભ્રષ્ટાચાર મુક્ત છે. વિવિધ વિભાગોની કામગીરીનો ઉલ્લેખ કરતાં મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે અમારી સરકાર તમામ વિભાગોની સ્થિતિ સુધારવા માટે મોટા પ્રયાસો કરી રહી છે જેથી લોકોને વહીવટી સેવાઓ મેળવવામાં કોઈપણ પ્રકારની સમસ્યાનો સામનો કરવો ન પડે. તેમણે કહ્યું કે 70 વર્ષની જટિલ સિસ્ટમને ઠીક કરવામાં આવી રહી છે, જેના કારણે થોડા સમય પછી મોટા સુધારા જોવા મળશે.
ગેરકાયદે વસાહતો અંગેના પ્રશ્નના જવાબમાં મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે કોઈ પણ પરિવારને બેઘર બનાવવામાં આવશે નહીં અને સરકાર આ વસાહતો સાથે વાતચીત કરી રહી છે. તેમણે કહ્યું કે અગાઉની સરકારોની ભૂલો અને મનસ્વીતાને આ લોકો પર અસર થવા દેવામાં આવશે નહીં.
ડાંગરની ચાલી રહેલી ખરીદી અંગે સંતોષ વ્યક્ત કરતાં ભગવંત માને જણાવ્યું હતું કે, આ વખતે પાકની ખરીદી માટે યોગ્ય વ્યવસ્થા ગોઠવવાને કારણે ખેડૂતોને કોઈ પણ પ્રકારની સમસ્યાનો સામનો કરવો પડ્યો નથી અને એવું પહેલીવાર બન્યું છે કે થોડા કલાકોમાં જ ખેડૂતોને પૈસા મળી રહ્યાં છે. ખેડૂતોના ખાતામાં ચુકવણી કરવામાં આવી રહી છે તેમણે કહ્યું કે આ વખતે સરકારે ઉત્તર પ્રદેશ, રાજસ્થાન અને હરિયાણા જેવા રાજ્યોમાંથી ડાંગરનો એક દાણો પણ પંજાબમાં આવવા દીધો નથી, જેના કારણે ખરીદી પ્રક્રિયા સરળતાથી ચાલી રહી છે. અધિનિયમમાં જરૂરી વ્યવસ્થા કરીને ડાંગરના પરિવહન માટે ટ્રેક્ટર-ટ્રોલીનો પણ ઉપયોગ કરવાની છૂટ આપવામાં આવી છે.
પરાળી સળગાવવાથી થતા પ્રદૂષણ માટે પંજાબને જવાબદાર ઠેરવવા પર આકરા શબ્દોમાં જવાબ આપતાં મુખ્યમંત્રીએ કહ્યું હતું કે પરાળી સળગાવવાનો મુદ્દો એકલા પંજાબનો નથી પરંતુ ઉત્તર ભારતનો છે. કેન્દ્ર સરકારે પંજાબના શ્રમજીવી ખેડૂતોને જવાબદાર ઠેરવ્યા છે. કેન્દ્ર સરકાર નિચી કક્ષાનુ રાજકારણ કરી રહી છે. અમારી સરકારે પરાળી સળગાવવાનો ઉકેલ શોધવા માટે કેન્દ્ર સરકારને દરખાસ્તો મોકલી હતી, પરંતુ આ દરખાસ્તોને કોઈપણ વિચારણા કર્યા વિના ફગાવી દેવામાં આવી હતી. તેમણે કહ્યું કે દિલ્હીમાં AC રૂમમાં બેઠેલા લોકો ગ્રાઉન્ડની વાસ્તવિકતાઓને સમજી શકતા નથી, જેના કારણે આ સમસ્યાના નિરાકરણ માટે પ્રયાસો થઈ રહ્યા નથી. મુખ્યમંત્રીએ કહ્યું કે હરિયાણાના ફરીદાબાદ અને ચરખી દાદરીનું નામ પણ ઉચ્ચ પ્રદૂષણ ધરાવતા શહેરોના હવા ગુણવત્તા સૂચકાંકમાં આવે છે, પરંતુ માત્ર પંજાબને દોષી ઠેરવવામાં આવે છે. તેમણે કેન્દ્ર સરકાર પાસે માંગણી કરી હતી કે સામાન્ય સમસ્યાનો ઉકેલ સામાન્ય જવાબદારીથી જ આવી શકે છે, કોઈ એક રાજ્યને જવાબદાર ઠેરવીને આ પ્રશ્નનો ઉકેલ ન આવવો જોઈએ.
આ દરમિયાન ભગવંત માને તાલુકા કચેરી અને સુવિધા કેન્દ્રની મુલાકાત લીધી હતી અને ઉપસ્થિત કર્મચારીઓ અને લોકો સાથે વાતચીત કરી હતી અને સરકાર દ્વારા આપવામાં આવતી વહીવટી સેવાઓ વિશે માહિતી મેળવી હતી. મુખ્યમંત્રીએ અધિકારીઓને જમીન વિતરણ વગેરે બાબતે ન્યાયી નિર્ણય લેવા આદેશ આપ્યો હતો જેથી કરીને તમામ પક્ષકારોને ન્યાય મળી શકે.