ઓડિશાના બાલાસોરમાં જમીનથી હવામાં પ્રહાર કરતી મિસાઈલનું સફળ પરીક્ષણ!
ભારતે આજે ઓડિશામાં મધ્યમ રેન્જની સપાટીથી હવામાં માર મારનાર મિસાઈલ એર ડિફેન્સ સિસ્ટમનું સફળતાપૂર્વક પરીક્ષણ કર્યું છે. આ પરીક્ષણ બાલાસોર તટ પર કરવામાં આવ્યું છે.
ભારતે આજે ઓડિશામાં મધ્યમ રેન્જની સપાટીથી હવામાં માર મારનાર મિસાઈલ એર ડિફેન્સ સિસ્ટમનું સફળતાપૂર્વક પરીક્ષણ કર્યું છે. આ પરીક્ષણ બાલાસોર તટ પર કરવામાં આવ્યું છે. ડીઆરડીઓના એક અધિકારીએ આ માહિતી આપી છે. તેમણે કહ્યું કે આ એર ડિફેન્સ સિસ્ટમ ભારતીય સેનાનો ભાગ છે. અધિકારીએ કહ્યું કે આ પરીક્ષણમાં મિસાઈલે લાંબા અંતરથી પોતાના લક્ષ્ય પર સીધો હુમલો કર્યો.
અગાઉ ભારતે 23 માર્ચે બ્રહ્મોસ સુપરસોનિક ક્રૂઝ મિસાઈલનું સપાટીથી સપાટી પર વાર કરી સફળતાપૂર્વક પરીક્ષણ કર્યું હતું. આ ટેસ્ટ આંદામાન અને નિકોબાર ટાપુઓમાં કરવામાં આવ્યો હતો. સંરક્ષણ અધિકારીએ આ અંગે માહિતી આપી હતી. તેમણે કહ્યું હતું કે આ મિસાઈલે સીધું જ પોતાનું લક્ષ્ય હાંસલ કર્યું હતું. એર ચીફ માર્શલ વીઆર ચૌધાએ પણ તેમને આ સપાટીથી સપાટી પરની સુપરસોનિક ક્રૂઝ મિસાઈલના સફળ પરીક્ષણ માટે અભિનંદન પાઠવ્યા હતા.
ઉલ્લેખનીય છે કે, ભારત તેના સંરક્ષણ બજેટમાં સતત વધારો કરી રહ્યું છે. દેશનું ધ્યાન સંરક્ષણ ક્ષેત્રમાં આત્મનિર્ભર બનવા પર છે. તેથી કેન્દ્ર સરકાર ભારતની સંરક્ષણ આયાત ઘટાડવા અને નિકાસ વધારવા માટે સતત કામ કરી રહી છે. છેલ્લા આઠ વર્ષમાં ભારતની શસ્ત્રોની નિકાસ 6 ગણી વધી છે. ચાલુ નાણાકીય વર્ષમાં ભારતે અત્યાર સુધીમાં 11607 કરોડ રૂપિયાના શસ્ત્રોની નિકાસ કરી છે. રક્ષા રાજ્ય મંત્રી અજય ભટ્ટે લોકસભામાં આ માહિતી આપી હતી. તેમણે કહ્યું હતું કે નાણાકીય વર્ષ 2014-15માં ભારતે 1941 કરોડના શસ્ત્રોની નિકાસ કરી હતી, જે હવે નાણાકીય વર્ષ 2021-22માં 11,607 કરોડ રૂપિયા પર પહોંચી ગઈ છે.
તમને જણાવી દઈએ કે, છેલ્લા સાત વર્ષમાં મોદી સરકારે સંરક્ષણ ક્ષેત્રમાં નિકાસને પ્રોત્સાહન આપવા માટે ઘણા મહત્વપૂર્ણ નિર્ણયો લીધા છે. સરકારે નાણાકીય વર્ષ 2024-25 સુધીમાં દેશની સંરક્ષણ નિકાસ વધારીને રૂ. 36,500 કરોડ કરવાનો લક્ષ્યાંક પણ નિર્ધારિત કર્યો છે. સ્ટોકહોમ ઇન્ટરનેશનલ પીસ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ (SIPRI) અનુસાર, સંરક્ષણ બજેટમાં ખર્ચના આધારે ભારત અમેરિકા અને ચીન પછી વિશ્વમાં ત્રીજા સ્થાને છે. SIPRI અનુસાર, ભારતે 2011 અને 2020 વચ્ચે સંરક્ષણ બજેટ પર ખર્ચમાં 76 ટકાનો વધારો કર્યો છે.