સુદાન ફેક્ટરીમાં થયો વિસ્ફોટ, 18 ભારતીય સહિત 23 લોકોના મોત, હેલ્પલાઇન નમ્બર જાહેર
સુદાનની રાજધાની ખારતૂમમાં એક ફેક્ટરીની અંદર ગેસ ટેન્કર વિસ્ફોટમાં 23 લોકોનાં મોત નીપજ્યાં છે. મૃત્યુ પામેલા લોકોમાં 18 ભારતીયો પણ છે.
સુદાનની રાજધાની ખારતૂમમાં એક ફેક્ટરીની અંદર ગેસ ટેન્કર વિસ્ફોટમાં 23 લોકોનાં મોત નીપજ્યાં છે. મૃત્યુ પામેલા લોકોમાં 18 ભારતીયો પણ છે. આ દુર્ઘટનામાં 130 થી વધુ લોકો ઘાયલ થયા છે. જેમાંથી ઘણાની હાલત ગંભીર છે. વિદેશ પ્રધાન એસ જયશંકરે અકસ્માત અંગે દુ:ખ વ્યક્ત કરતાં કહ્યું છે કે, આ દુર્ઘટનામાં ઘણા ભારતીય મજૂરો મરી ગયા છે અને ઘણા ઘાયલ થયા છે. વિદેશ પ્રધાને પોતાના ટ્વીટ સંદેશમાં 24 કલાક ઇમરજન્સી નંબર પણ શેર કર્યો છે. આ નંબર પર કોલ કરીને માહિતી મેળવી શકાય છે, આ હેલ્પલાઇન નંબર +249-921917471 છે.
ખારતુમના બાહરી વિસ્તારમાં આવેલી સિરામિક ફેક્ટરી સલુમીમાં મંગળવારે રાત્રે આ અકસ્માત થયો હતો. ફેક્ટરીમાં એલપીજી ટેન્કરમાં થયેલા વિસ્ફોટમાં 23 લોકોનાં મોત નીપજ્યાં અને 130 થી વધુ ઘાયલ થયા. સુડાનમાં ભારતીય દૂતાવાસે મંગળવારે બનેલા બનાવમાં કેટલા ભારતીય લોકોનાં મોત થયા તે અંગેના અહેવાલ આપ્યા વિના જાનહાનીનો ઉલ્લેખ કર્યો છે. મંગળવારે દૂતાવાસે તેની વેબસાઇટ પર જાણ કરી કે ઘણા ભારતીય કામદારો ઘાયલ થયા છે.
આ ઘટના બાદથી 16 ભારતીય લાપતા હોવાનું નોંધાયું છે. ભારતીય દૂતાવાસે એક પ્રકાશન જારી કરીને જણાવ્યું છે કે 18 ભારતીયોનાં મોત નીપજ્યાં છે. સુડાન સ્થિત ભારતીય દૂતાવાસ તરફથી જાણ કરવામાં આવી છે કે આ ફેક્ટરીમાં 50થી વધુ ભારતીય મજુર કામ કરે છે.