સર્વે:નોટબંધી, GST, નોકરી, મોંઘવારી મુદ્દે મોદી સરકાર નિષ્ફળ
ભારતીય જનતા પાર્ટી અને કેન્દ્રની સરકાર નોટબંધી અને જીએસટી અંગે દાવો કરે છે કે, આ નિર્ણયોને કારણે દેશની આર્થિક સ્થિતિને નવી ઊંચાઇ પ્રાપ્ત થઇ છે. દેશના અનેક લોકોએ આ નિર્ણયોને નિષ્ફળ ગણાવ્યા છે.
ભારતીય જનતા પાર્ટી અને કેન્દ્રની સરકાર નોટબંધી અને જીએસટી અંગે દાવો કરે છે કે, આ નિર્ણયોને કારણે દેશની આર્થિક સ્થિતિને નવી ઊંચાઇ પ્રાપ્ત થઇ છે. જો કે, એક સર્વેમાં સામે આવ્યું છે કે, દેશના અનેક લોકોએ આ નિર્ણયોને નિષ્ફળ ગણાવ્યા છે. હિંદી સમાચાર ચેનલ આજ તક તરફથી 30 ડિસેમ્બર, 2017થી 9 જાન્યુઆરી, 2018 વચ્ચે કરવામાં આવેલ સર્વેમાં આ વાત સામે આવી છે. લોકોનું માનવું છે કે, બેરોજગારી દેશનો સૌથી મોટો મુદ્દો છે. બેરોજગારી માટે 29 ટકા લોકોએ મત આપ્યો, મોંઘવારી માટે 23 ટકા લોકોએ અને ભ્રષ્ટાચાર માટે 17 ટકા લોકોએ મત આપ્યો છે. 6 ટકા લોકોએ મહિલાઓની સુરક્ષા અને અન્ય 6 ટકા લોકોએ ખેડૂતોની પરિસ્થિતિને મોટા મુદ્દાઓ ગણાવ્યા હતા.
જરૂરી ચીજોની કિંમતોમાં વધારો
સર્વેમાં દેશની અર્થવ્યવસ્થા પર પણ સવાલ કરવામાં આવ્યા છે. સર્વે અનુસાર, 56 ટકા લોકોનું માનવું છે કે, વર્તમાન સરકારે પહેલાની સરકાર કરતાં સારું કામ કર્યું છે, 16 ટકા લોકોનું માનવું છે કે પરિસ્થિતિ યૂપીએ સરકાર જેવી જ છે, 21 ટકા લોકોનું માનવું છે કે દેશની અર્થવ્યવસ્થા હાલ યૂપીએ સરકાર કરતાં પણ ખરાબ છે, 6 ટકા લોકોએ આ અંગે કોઇ ટિપ્પણી નથી કરી. 23 ટકા લોકોએ મોંઘવારીને મોટો મુદ્દો ગણાવ્યો છે અને 69 ટકા લોકોનું કહેવું છે કે, મોદી સરકારમાં જરૂરી ચીજવસ્તુઓની કિંમતોમાં વધારો થયો છે. 21 ટકા લોકોનું કહેવું છે કે, કિંમતોમાં ખાસ પરિવર્તન નથી આવ્યું અને 8 ટકા લોકોએ કહ્યું કે, કિંમતોમાં ઘટાડો થયો છે.
GSTને કારણે વધી મોંઘવારી
વસ્તુ અને સેવા કર(જીએસટી) પર 49 ટકા લોકોએ કહ્યું કે, આને કારણે મોંઘવારી વધી છે અને 15 ટકા લોકોનું કહેવું છે કે, કિંમતોમાં કોઇ પરિવર્તન નથી આવ્યું. 31 ટકા લોકોએ જણાવ્યું કે, જીએસટી લાગુ થતા કિંમતો ઓછી થઇ છે. 17 ટકા લોકોનું માનવું છે કે, જીએસટીથી ફાયદો થયો છે અને 38 ટકા લોકોનું કહેવું છે કે, જીએસટીથી દેશને નુકસાન થયું છે. 37 લોકોનું માનવું છે કે, કોઇ પરિવર્તન નથી આવ્યું. 7 ટકા લોકોએ આ સવાલનો કોઇ જવાબ નથી આપ્યો. નોકરીના મુદ્દે 30 ટકા લોકોનું માનવું છે કે સરકારે નોકરી ઊભી કરવા જરૂરી પગલા લીધા છે, 53 ટકા લોકોનું માનવું છે કે સરકારે કંઇ નથી કર્યું. 17 ટકા લોકોએ આ અંગે કોઇ જવાબ નથી આપ્યો.
નોટબંધીથી થયું નુકસાન?
નવી નોકરીઓ આવી કે નહીં એ મામલે 58 ટકા લોકો મૌન રહ્યા હતા, 13 ટકા લોકોએ કહ્યું કે નવી નોકરીઓ આવી છે અને 27 ટકા લોકોનું માનવું છે, હજુ પણ પરિસ્થિતિ યૂપીએ સરકારમાં હતી એવી જ છે. નોટબંધીના સવાલ પર 73 ટકા લોકોએ માન્યું કે, આને કારણે દેશને નુકસાન થયું છે. 22 ટકા લોકો અનુસાર નોટબંધીથી લાભ થયો છે અને 5 ટકા લોકોએ આ અંગે કોઇ જવાબ નહોતો આપ્યો.