તાજ કોરિડોર કેસમાં માયાવતી સામેની પીઆઇએલ કોર્ટે ફગાવી
આ અંગે માયાવતીના વકીલ સતીશ મિશ્રાએ જણાવ્યું કે માયાવતી સામે દાખલ કરવામાં આવેલી સાત પીઆઇએલ અંગે હાઇકોર્ટે આદેશ આપ્યો છે. જે પણ પીઆઇએલ દાખલ કરવામાં આવી હતી તે રાજકીય ઉદ્દેશ્યથી દાખલ કરવામાં આવી હતી. જેથી મેરિટના આધારે કોર્ટે આ કેસ નકારી દીધો છે.
ઉલ્લેખનીય છે કે યુપીના રાજ્યપાલ ટી વી રાજેશ્વરે માયાવતી સામે કેસ ચલાવવા માટે સીબીઆઇને મંજૂરી આપી ન હતી. આ બાબતે તે સમયે સખત વિરોધ નોંધાવવામાં આવ્યો હતો.
આ કારણે હાઇકોર્ટમાં રાજ્યપાલના આદેશ સામે અડધા ડઝનથી વધારે પીઆઇએલ નોંધાવવામાં આવી હતી. આ મુદ્દે ઉચ્ચ અદાલતે પોતાનો નિર્ણય સંભળાવ્યો હતો. તાજ કોરિડોરમાં 175 કરોડ રૂપિયાના ગોટાળાનો આરોપ મૂકવામાં આવ્યો છે.
લગભગ 10 વર્ષ પહેલા બીએસપી અધ્યક્ષા માયાવતીએ મુખ્યમંત્રી તરીકે તાજમહેલથી એતમાતુદૌલાના મકબરાને જોડવા માટે યમુનાના કિનારે કોરિડોર તૈયાર કરાવડાવી રહ્યા હતા. સુપ્રીમ કોર્ટે તેને અયોગ્ય ગણીને સીબીઆઇને તેની તપાસ કરવાનું કામ સોંપ્યું હતું. જે અંતર્ગત સીબીઆઇએ માયાવતી સામે એફઆઇઆર નોંધી હતી પણ, રાજ્યપાલે કેસ ચલાવવાની પરવાનગી આપી ન હતી.