તમિલનાડુના કોઇમ્બતુરમાં નિપાહ વાયરસનો પ્રથમ કેસ નોંધાયો
કેરળ બાદ હવે તામિલનાડુના કોઈમ્બતુરમાં નિપાહ વાયરસનો પ્રથમ કેસ નોંધાયો છે. કેરળમાં 2 દિવસ પહેલા નિપાહ વાયરસને કારણે 12 વર્ષના બાળકનું મોત થયું હતું.
ચેન્નાઈ : કેરળ બાદ હવે તામિલનાડુના કોઈમ્બતુરમાં નિપાહ વાયરસનો પ્રથમ કેસ નોંધાયો છે. કેરળમાં 2 દિવસ પહેલા નિપાહ વાયરસને કારણે 12 વર્ષના બાળકનું મોત થયું હતું. જો આ વાયરસને વહેલી તકે નિયંત્રણમાં નહીં આવે તો તે અધિકારીઓ માટે માથાનો દુઃખાવો બની શકે છે. કોઇમ્બતુર જિલ્લા કલેકટર ડો. જી. એસ. સમીરેને જણાવ્યું હતું કે, જિલ્લામાં નિપાહ વાયરસનો એક કેસ નોંધાયો છે. અમે તમામ સાવચેતી રાખી રહ્યા છીએ. જે કોઈ તાવથી પીડિત સરકારી હોસ્પિટલમાં આવશે, તેની યોગ્ય તપાસ કરવામાં આવશે.
કેરળ વાયરસને રોકવા લગાવી રહ્યું છે એડીચોટીનું જોર
કેરળ આ વાયરસના ફેલાવાને રોકવા માટે સખત પ્રયાસ કરી રહ્યું છે. આ વાયરસ ચામાચીડિયાથી માણસોમાં ફેલાય છે. તે વ્યક્તિથી વ્યક્તિમાં પણ ફેલાય છે. સોમવારના રોજ રાજ્યમાં હળવા લક્ષણો ધરાવતા આઠ લોકો અને રામબુટન ફળના સેમ્પલના રિપોર્ટ કરવામાં આવ્યા હતા. જેને પરીક્ષણ માટે નેશનલ ઇન્સ્ટિટ્યુટ ઓફ વાયરોલોજી (એનઆઈવી) પુણે મોકલવામાં આવ્યા હતા. જાહેર આરોગ્ય પગલામાં રાજ્યને સમર્થન આપવા માટે કેરળ મોકલવામાં આવેલી કેન્દ્રીય ટીમે વાયરસને કારણે મૃત્યુ પામેલા છોકરાના ઘરે મુલાકાત લીધી હતી. ટીમે ઘરની આસપાસથી રામબુટન ફળોના નમૂના પણ એકત્ર કર્યા હતા, કારણ કે પરિવારને શંકા હતી કે, છોકરાએ ફળ ખાધા બાદ તેને ઇન્ફેક્શન થયું હતું.
બાળકના ઘરની આસપાસનો વિસ્તાર કન્ટેનમેન્ટ ઝોન તરીકે જાહેર કરાયો
ઉલ્લેખનીય છે કે, છોકરાના સંપર્કમાં 251 લોકો છે, જેમની ઓળખ કરવામાં આવી છે અને તેમની નજીકથી દેખરેખ રાખવામાં આવી રહી છે. બાળકને સંક્રમણ થયા બાદ ચાથમંગલમ પંચાયત અને આસપાસના વિસ્તારોને સંપૂર્ણપણે બંધ કરી દેવામાં આવ્યા છે. તેમના ઘરથી ત્રણ કિલોમીટરનો વિસ્તાર કન્ટેનમેન્ટ ઝોન તરીકે જાહેર કરવામાં આવ્યો છે. રાજ્યના આરોગ્ય વિભાગનું કહેવું છે કે, કોન્ટેક્ટ ટ્રેસિંગને મજબૂત કરવા પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું છે અને વાયરસના સોર્સને શોધવા માટે તમામ પ્રયાસો કરવામાં આવી રહ્યા છે.