તેલંગાનાઃ ઘરમાં ભીષણ આગ લાગતા બે બાળકો સહિત પરિવારના 6 લોકો જીવતા ભૂંજાયા
તેલંગાનાના મંચેરિયલ જિલ્લામાં એક ઘરમાં આગ લાગતા બે બાળકો સહિત પરિવારના છ લોકો જીવતા ભૂંજાઈ ગયા છે.
Fire in Telangana: તેલંગાનાના મંચેરિયલ જિલ્લામાંથી એક દર્દનાક દૂર્ઘટનાના સમાચાર સામે આવી રહ્યા છે. શુક્રવારે 16 ડિસેમ્બરની રાતે અહીં એક ઘરમાં ભીષણ આગ લાગી ગઈ. જેમાં એક જ પરિવારના છ લોકો જીવતા ભૂંજાઈ ગયા. મરનારામાં બે બાળકો પણ સામેલ હતા. વળી, દૂર્ઘટનાના સૂચના મળતા જ પોલીસ અને ફાયર બ્રિગેડની ગાડીઓ ઘટના સ્થળે પહોંચી ગઈ. હાલમાં પોલીસ આગ લાગવાના કારણોની તપાસ કરી રહી છે.
સમાચાર એજન્સી એએનઆઈના જણાવ્યા મુજબ આ દર્દનાક દૂર્ઘટના મંચેરિયલ જિલ્લાના મંદામરી મંડલ વિસ્તારમાં બની હતી. મીડિયાને માહિતી આપતાં મંદામરી સર્કલના પોલીસ ઈન્સ્પેક્ટર પ્રમોદ કુમારે જણાવ્યુ કે શિવય્યા (50) તેની પત્ની પદ્મા (45) સાથે રહેતો હતો. બે દિવસ પહેલા પદ્માની નાની બહેન મોનિકા (23) તેની બે દીકરીઓ અને શાંતૈયા નામની મહિલા સાથે આવી હતી અને તે જ ઘરમાં રહેતી હતી.
મંદામરી સર્કલના પોલીસ ઈન્સ્પેક્ટર પ્રમોદ કુમારે જણાવ્યુ કે 16 ડિસેમ્બરે બપોરે 12-12:30 વાગ્યાની આસપાસ પાડોશીઓએ જ્યારે ચીસો સાંભળી ત્યારે બધા ઘરની બહાર આવ્યા. આ દરમિયાન તેમણે જોયુ કે શિવય્યાના ઘરમાં આગ લાગી છે. તેથી તેમણે ફાયર બ્રિગેડ અને પોલીસને જાણ કરી. માહિતી મળતાની સાથે જ ફાયર બ્રિગેડ અને પોલીસની બે ગાડીઓ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી. ફાયર ફાઈટરોએ ભારે જહેમતથી આગને કાબુમાં લીધી હતી પરંતુ ત્યાં સુધીમાં ઘણુ મોડુ થઈ ગયુ હતુ. ઘરમાં હાજર તમામ છ લોકોને જીવતા સળગાવી દેવામાં આવ્યા હતા. હાલ પોલીસે મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યા છે અને મામલાની તપાસ કરવામાં આવી રહી છે.