શ્રીનગરમાં આતંકવાદી હુમલામાં બંને આતંકી ઠાર, 5 જવાન શહીદ
આ હુમલામાં અત્યાર સુધી ચાર નાગરિકો ઘાયલ થયાના સમાચાર છે. આતંકવાદીઓ દ્વારા આ હુમલો સીઆરપીએફના બંકર પર કરવામાં આવ્યો હતો જે આ સ્કૂલની બહાર આવેલો હતો. કેમ્પની અંદર છૂપાયેલા 2 ફિદાઇન આતંકીઓને સીઆરપીએફના જવાનો દ્વારા એન્કાઉન્ટરમાં ઠાર મરાયા છે.
આ હુમલાને પગલે શ્રીનગરમાં હજીએ તણાવભર્યું વાતાવરણ છે. હજી સુધી એ નથી જાણી શકાયું કે આ આતંકવાદીઓ ગયા ગ્રુપના હતા અને હુમલો કરવાનો તેમનો ઉદ્દેશ્ય શું હતો. સૂત્રોએ આપેલી માહિતી અનુસાર પોલીસ પબ્લીક સ્કૂલ આજે બંધ હતી અને આ આતંકવાદીઓ શાળાના બાજુમાં આવેલા મેદાનમાં ક્રિકેટના સામાનની અંદર હથિયારો છૂપાવીને આવ્યા હતા. આ મેદાન ક્રિકેટ રમવા માટે સૌને માટે ખુલ્લુ હોય છે જેનો લાભ લઇને ફિયાદીન અહીં ઘુસી ગયા હતા, અને તક મળતા જ ફાયરિંગ શરૂ કરી દીધું હતું.
મુખ્યમંત્રીએ શું કહ્યું
આ હુમલા અંગે જમ્મુ-કાશ્મીરના મુખ્યમંત્રી ઓમર અબ્દુલ્લાએ વિધાનસભામાં આ અંગે માહિતી આપતા જણાવ્યું કે બેમિના પોલીસ પબ્લિક સ્કૂલ પાસેના સીઆરપીએફ બેન્કરમાં બે ફિદાઇન ઘુસી ગયા હતા. આ ફિદાઇન હુમલો હતો. બંને આતંકીઓને જવાનોએ ઠાર માર્યા છે જ્યારે આ ફાયરિંગમાં સીઆરપીએફના પાંચ જવાનો શહિદ થયા છે અને 7 જવાનો ઘાયલ થયા છે. તેમણે જણાવ્યું કે આ અંગે વધુ માહિતી મળતા હું ગૃહને માહિતગાર કરતો રહીશ.