કાંઝાવાલા અકસ્માત કેસના આરોપીઓ પર હત્યાનો આરોપ લગાવાયો, ગૃહ મંત્રાલયના આદેશ બાદ ધારા 302 લગાવાઈ
હાલમાં જ કેન્દ્રિય ગૃહ મંત્રાલયે જવાબદાર પોલીસકર્મીઓ સામે કાર્યવાહી કરવા અને આરોપીઓ સામે હત્યાનો ગુનો દાખલ કરવા માટે આદેશ કર્યા હતા. હવે દિલ્હી પોલીસે હત્યાની કલમ ઉમેરી છે.
નવી દિલ્હી : દિલ્હીના ચકચારી કાંઝાવાલા અકસ્માત કેસમાં સતત એક પછી એક કાર્યવાહીઓ કરવામાં આવી રહી છે ત્યારે હવે આરોપીઓ પર હત્યાનો આરોપ લગાવાયો છે. હાલમાં જ કેન્દ્રિય ગૃહ મંત્રાલયે જવાબદાર પોલીસકર્મીઓ સામે કાર્યવાહી કરવા અને આરોપીઓ સામે હત્યાનો ગુનો દાખલ કરવા માટે આદેશ કરાય હતા. હવે દિલ્હી પોલીસે હત્યાની કલમ ઉમેરી છે.

આ કેસમાં સતત પોલીસ જવાનો સામે સવાલો ઉઠી રહ્યા છે ત્યારે સુત્રો પોલીસ જવાનોએ એસઓએસ કોલને નજર અંદાજ કર્યા હોવાના પણ જણાવી રહ્યા છે. આ કર્મચારીઓ વિરૂદ્ધ તાત્કાલિક પગલા લેવા પણ ગૃહ મંત્રાલયે જણાવ્યુ હતું. ગૃહ મંત્રાલયના આદેશ બાદ દિલ્હી પોલીસના કેટલાક જવાનોને નિલંબિત પણ કરાયા હતા.
આ કેસને લઈને સામે આવી રહેલા અહેવાલો અનુસાર, દિલ્હી પોલીસની કુલ 18 ટીમોએ કેસની તપાસ કરી છે. દિલ્હી પોલીસની પૂછપરછમાં જાણવા મળ્યું કે કાર દીપક નહીં પણ અમિત ખન્ના ચલાવી રહ્યો હતો. સ્પેશિયલ પોલીસ કમિશનરના જણાવ્યા અનુસાર, પોસ્ટમોર્ટમ દરમિયાન જાતીય શોષણના કોઈ પુરાવા મળ્યા નથી.
કેસની વાત કરીએ તો મૃતક અંજલિ 1 જાન્યુઆરીએ રાત્રે તેની ફ્રેન્ડ સાથે સ્કૂટી પર જઈ રહી હતી ત્યારે એક મારુતિ સુઝુકી બલેનોએ તેને ટક્કર મારી હતી. આ દરમિયાન નિધિ નીચે પડી ગઈ અને અંજલિ કાર નીચે ફસાઈ ગઈ હતી. જે બાદ તે 14 કિલોમીટર સુધી ખેંચાઈ હતી. આ ઘટનામાં અંજલિનું દર્દનાક મોત થયુ હતુ. પોલીસને 1 જાન્યુઆરીએ સવારે અંજલિની લાશ વિકૃત હાલતમાં મળી આવી હતી. તેના શરીર પર કોઈ કપડા નહોતા.












Click it and Unblock the Notifications
