ચારધામ દેવસ્થાનમ બોર્ડ બીલને વિસર્જન કરશે ધામી સરકાર, ત્રિવેન્દ્ર સરકારના નિર્ણયને ફેરવ્યો
ઉત્તરાખંડના મુખ્યમંત્રી પુષ્કર સિંહ ધામીએ આજેએટલે કે મંગળવારના રોજ ચારધામ દેવસ્થાનમ મેનેજમેન્ટ બોર્ડ બીલ પરત ખેંચવાની મોટી જાહેરાત કરી છે.
દેહરાદૂન : ઉત્તરાખંડના મુખ્યમંત્રી પુષ્કર સિંહ ધામીએ આજેએટલે કે મંગળવારના રોજ ચારધામ દેવસ્થાનમ મેનેજમેન્ટ બોર્ડ બીલ પરત ખેંચવાની મોટી જાહેરાત કરી છે.
ઉલ્લેખનીય છે કે, શ્રાઈન બોર્ડની તર્જ પર ચારધામ દેવસ્થાનમ બોર્ડ બનાવવાનો નિર્ણય વર્ષ 2019માં પૂર્વ મુખ્યમંત્રી ત્રિવેન્દ્ર સિંહ રાવતે લીધો હતો, જેને હવે ધામી સરકારે બદલાવી દીધો છે. તીર્થયાત્રીઓના વિરોધ છતાં ત્રિવેન્દ્ર સરકારે ગૃહમાંથી બીલ પસાર કરીને કાયદો ઘડ્યો હતો. આ નિર્ણયને કારણે ભાજપને યાત્રાળુઓની નારાજગીનો સામનો કરવો પડી રહ્યો હતો.
હવે ઉત્તરાખંડના મુખ્યમંત્રી પુષ્કર સિંહ ધામીએ પોતાની જ પાર્ટીની સરકારના આ નિર્ણયને બદલી નાખ્યો છે. જ્યારે ત્રિવેન્દ્ર સરકારે ચારધામ દેવસ્થાનમ બોર્ડની રચના કરવાનો નિર્ણય કર્યો હતો, ત્યારે તેમને ચારધામ તીર્થ પુરોહિત અને ન્યાયી આંદોલનનો સામનો કરવો પડ્યો હતો, પરંતુ પૂર્વ મુખ્યમંત્રી રાવત તેમના નિર્ણય પર અડગ રહ્યા હતા. ત્રિવેન્દ્ર સરકારનું માનવું હતું કે, ચારધામ દેવસ્થાનમ બોર્ડની રચના સાથે બદ્રીનાથ, કેદારનાથ, ગંગોત્રી, યમનોત્રી ધામ સહિત 51 મંદિરો તેના હેઠળ આવશે અને તીર્થયાત્રીઓ માટે ઈન્ફ્રાસ્ટ્રક્ચરનો વિકાસ કરવામાં આવશે.
નોંધનીય છે કે, આવતા વર્ષે ઉત્તરાખંડ વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે, આવી સ્થિતિમાં ભાજપ યાત્રાળુઓની નારાજગી લેવા માંગતી નથી. એક દિવસ પહેલા સોમવારના રોજ પણ તીર્થધામના પૂજારીઓએ ઉત્તરાખંડ સરકારને ચેતવણી આપી હતી કે, જો ચારધામ દેવસ્થાનમ બોર્ડને વિસર્જન કરવામાં નહીં આવે તો આંદોલન વધુ ઉગ્ર બનાવાશે. આ ઉપરાંત તીર્થધામના પૂજારીઓએ પણ આગામી વિધાનસભાની ચૂંટણીમાં 15 બેઠકો પર ચૂંટણી લડવાનું નક્કી કર્યું છે. આવી સ્થિતિમાં મુખ્યમંત્રી પુષ્કર સિંહ ધામીએ વિવાદિત બીલ પરત ખેંચીને તીર્થયાત્રીઓને મોટી રાહત આપી છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે, અહીં સત્તામાં રહેલી ભાજપને આશંકા હતી કે, આ માગને અવગણવાથી ચૂંટણીમાં બ્રાહ્મણ વોટ બેંક તેની પાસેથી છીનવાઈ શકે છે.